મુળીના સોમાસર ગામે મનરેગામાં ઉચાપતની ફરિયાદ બાદ સરપંચ સસ્પેન્ડ
મૂળી સહિત સમગ્ર જિલ્લામાં મનરેગા સહિત સરકારી વિવિધ કામોમાં અવાર નવાર ગેરરીતિ સામે આવે છે. જેમાં મૂળીના સોમાસર ગામે મનરેગા કામમાં ઉચાપત કર્યાની 6 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
જેમાં તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઇ બલદાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2019માં તે વખતના સરપંચ હસુભાઇ ઉકાભાઇ ગોલાણીના પત્નિ શકુન્તલાબેન ગોલાણી આંગણવાડીમાં હેલ્પર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવતા હોવા છતાં જોબકાર્ડ દ્રારા અલગ અલગ તારીખમાં 29986નું વેતન મેળવી ગેરરીતિ આચરી છેતરપિંડી કરી સરકારી નાણાની ઉચાપત કરી હતી.
જે બાબતે સોમાસર ગામના ચમનભાઇ લાલજીભાઇ વાધેલા દ્રારા ગેરરીતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ 2023માં દાખલ કરાઈ અને બાદમાં જિલ્લા કોર્ડીનેટર દ્રારા તપાસ સમિતિ બનાવી તપાસ કરી અહેવાલ રજૂ કર્યો હતો.
જેમાં હાલનાં સરપંચ શકુન્તલાબેન ગોલાણી હેલ્પર તરીકે હોવા છતાં 29986નું વેતન મેળવી ગેરરીતિ આચરી છેતરપિંડી કરી ઉચાપત કરી તેમજ તે સમયના સરપંચ હસુભાઇ ગોલાણી, તલાટી પૃથ્વિરાજસિંહ જી.પરમાર, હાજરી પુરનાર મેટકારકૂન સનતભાઇ કોરડીયા, તે વખતના ટેકનિકલ દિક્ષિતભાઇ પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર રામભદ્રસિંહ જાદવ સામે બેદરકારી મદદગારી દાખવવા બદલ કુલ 6 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બાદમાં એક મહિના બાદ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક દ્રારા પંચાયત અધિનિયમ 1993ની કલમ 59 (1)ની જોગવાઇ મુજબ ગુનાહિત નૈતિક અધ:પતનવાળુ કૃત્ય કરેલ હોય જેથી સોમાસર સરપંચને હોદ્દા પર ચાલુ રાખવા યોગ્ય નથી. તેમ સમજી સોમાસર સરપંચ શકુંતલાબેન ગોલાણીને સરપંચ પદ પરથી મોકૂફ કરવાનો હુકમ કરાયો હતો.