સહાય મેળવવા ગ્રાન્ટેડ શાળાઓ માટે નિયમો જાહેર
બોર્ડ-ગુણોત્સવનું 3 વર્ષનું પરિણામ અને છેલ્લા વર્ષની હાજરીના આધારે સહાય મંજૂર કરાશે: સહાય બાદ સરકારના સહયોગથી મિશન સ્કૂલ્સ એકસેલન્સનું બોર્ડ લગાવવું ફરજિયાત
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો માટે સરકાર દ્વારા આર્થિક સહાય યોજના જાહેર કર્યા બાદ તે અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર, સ્કૂલોએ આર્થિક સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓની હાજરી, બોર્ડનું પરિણામ અને ગુણોત્સવના પરિણામને ક્રાઈટેરિયા પૂર્ણ કરવાના રહેશે. બોર્ડનું છેલ્લા 3 વર્ષનું પરિણામ, ગુણોત્સવનું 3 વર્ષનું પરિણામ અને છેલ્લા વર્ષની હાજરીના આધારે આ સહાય યોજના મંજૂર કરવામાં આવશે ઉપરાંત જે સ્કૂલનું મકાન ટ્રસ્ટ કે મંડળની માલિકીનું હશે તેમને જ સહાય આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવા માટે આર્થિક સહાયની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સહાય માટેના નિયમો નક્કી કરાયા હોવાનું પણ જાણવા મળે છે. જેમાં શાળાનું મકાન મંડળ-ટ્રસ્ટની માલિકીનું હોવું જોઈએ. ઉપરાંત શાળામાં ધોરણ-9 અને 10 હોય તો કુલ વિદ્યાર્થીની સંખ્યા ઓછામાં ઓછી 50 અને ધોરણ-9થી 12 હોય તો કુલ વિદ્યાર્થીની સંખ્યા ઓછામાં ઓછી 100 હોવી જરૂૂરી છે. આર્થિક સહાયમાં 80 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને 20 ટકા રકમ શાળા સંચાલક મંડળ દ્વારા ભોગવવાની રહેશે.
સહાયની મહત્તમ રકમ માટે પણ નિયમો નક્કી કરાયા છે. જેમાં 50થી 100 વિદ્યાર્થી હોય તો મહત્તમ રૂૂ. 20 લાખ, 101થી 150 વિદ્યાર્થી હોય તો રૂૂ. 30 લાખ, 151થી 300 વિદ્યાર્થી હોય તો રૂૂ. 50 લાખ, 301થી 500 વિદ્યાર્થી હોય તો રૂૂ. 75 લાખ, 501થી 800 વિદ્યાર્થી હોય તો રૂૂ. 1 કરોડ, 801થી 1200 વિદ્યાર્થી હોય તો રૂૂ. 1.25 કરોડ અને 1201 કરતા વધુ વિદ્યાર્થીઓના કિસ્સામાં મહત્તમ રૂૂ. 1.50 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. આ માટે સ્કૂલોએ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે. દરખાસ્ત મળ્યા બાદ સમિતિ દ્વારા વિવિધ પાસાઓની છણાવટ કર્યા બાદ આર્થિક સહાય મંજૂર કરાશે.
સમિતિ દ્વારા જે પાસાઓની છણાવટ કરવામાં આવનાર છે, તેમાં સ્કૂલનું છેલ્લા 3 વર્ષનું બોર્ડની પરીક્ષાનું પરિણામ તપાસવામાં આવશે. બિન આદિજાતિ વિસ્તાર માટે 75 ટકા અને આદિજાતિ વિસ્તાર માટે 65 ટકા પરિણામ હોવું જરૂૂરી છે. આ ઉપરાંત ગુણોત્સવના પરિણામને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં શહેરી વિસ્તાર માટે છેલ્લા ત્રણ શૈક્ષણિક વર્ષ પૈકી એક વર્ષમા અ+ ગ્રેડ તથા છેલ્લા બે વર્ષમાં અ ગ્રેડ હોવો જોઈએ. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે છેલ્લા ત્રણ શૈક્ષણિક વર્ષ પૈકી એક વર્ષમાં અ ગ્રેડ કે તેના કરતા વધુ ગ્રેડ હોવો જરૂૂરી છે.
આ ઉપરાંત સ્કૂલની સંચાલક મંડળની આર્થિક સદ્ધરતા પણ તપાસવામા આવશે આ સહાય માટે વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોને અગ્રતા આપવાનું નક્કી કરાયું છે. જ્યારે ક્ધયા શાળાઓને પણ અગ્રતા મળશે મહત્તમ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ્કૂલોને પણ અગ્રતા આપવાનું આયોજન કરાયું છે. સહાય માટેના માપદંડમાં છેલ્લા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 80 ટકા કે તેથી વધુ હોવી જોઈએ. આ સહાય હેઠળ સ્કૂલમાં કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના સહયોગથી - મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત લખેલું બોર્ડ લગાવવાનું રહેશે.