રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકને છેતરપિંડીના જુદા જુદા પાંચ કેસમાં 5-5 વર્ષની સજા
રાજકોટમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઊંચા વળતર માટે લલચાવી જુદા જુદા પાંચ થાપણદારો સાથે એક કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના જીપી આઇડી હેઠળના ગુનામાં સંચાલક પલક પ્રફુલભાઈ કોઠારીને અદાલતે પાંચ કેસોમાં પાંચ પાંચ વર્ષની જેલની સજા અને એક લાખથી વધુ રકમના દંડનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર માધવ કોમ્પ્લેક્સમાં રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફિસ ખોલી આ નાણા સંસ્થામાં રોકાણ કરવાથી પાંચથી છ ટકા સુધીનું વળતર માટે લલચાવી પલક કોઠારીએ અનેક લોકો પાસેથી ડિપોઝિટ મેળવી હતી. જેમાં દીપક ગોહેલ, કિરણ ગોહેલ, દિપક ટાંક, વિદ્યુત ભુષણદેવ અને ભરત ગોહેલ નામના ડિપોઝીટરોએ મૂકેલી એક કરોડથી વધારે રકમનું કોઈ વળતર કે મૂળ રકમ કઈજ નહીં મળતા, પાંચેય ડિપોઝીટરોએ ગુજરાત (નાણાકીય સંસ્થાઓમાં) આ પડદારોના હિતરક્ષણ બાબત અધિનિયમ સેકશન 3, 4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસો ચાલવા ઉપર આવતા આ પાંચેય કેસો જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ અધિક પબ્લીક પ્રોસિકયુટર કમલેશભાઈ ડોડીયા સાથે પૂર્ણ કરેલ હતા. આ પાંચેય કેસોમાં આરોપી વતી બચાવ લેવામાં આવેલ હતો કે, થાપણદારોએ આ રકમ શેરમાં રોકાણ કરવા માટે આપેલ હતી, તેથી આ ધંધાકીય વ્યવહાર હોય થાપણદારોના હિતના રક્ષણનો કાયદો લાગુ પડી શકે નહીં. તે સામે સરકાર પક્ષે અદાલતને જણાવ્યું હતું કે, આરોપી પલક પ્રફુલભાઈ કોઠારીએ થાપણ સ્વીકારતી વખતે લેખિત એગ્રીમેન્ટ કરી થાપણદારોને વિશ્વાસમાં લઈ કરોડો રૂૂપિયાની ઉચાપત કરી છે, આવા ગંભીર ગુનેગારોને હળવાશથી લઈ શકાય નહિ સખત સજા થવી જોઈએ, તેમજ પ્રોસિકયુશન તરફે જિલ્લા સરકારી વકીલ એ દલીલો કરી જણાવેલ હતું કે કોઈપણ થાપણદારના નામના કોઈ શેર આ આરોપી પલક કોઠારીએ ખરીદ કરેલ નથી.
આ સંજોગોમાં આરોપીએ જે રકમ મેળવેલ છે તે થાપણ તરીકે મેળવલ હોવાનું જ માનવાનું રહે છે. સરકાર તરફેની આ દલીલોના અંતે આરોપીનો બચાવ અમાન્ય રાખી કોર્ટ દ્વારા પલક પ્રફૂલ્લભાઈ કોઠારીને જીપીઆઇડી કલમ ત્રણમાં પાંચ વર્ષની કેદ અને રૂૂપિયા 1 લાખ દંડ તેમજ કલમ 420 મુજબ પાંચ વર્ષની કેદ અને ₹5,000 દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે ડીજીપી એસ.કે. વોરા મદદનીશ સરકારી વકીલ કમલેશ ડોડીયા રોકાયા હતા.