નિવૃત્ત IAS મહેતા અને દવેની મહેસૂલ વિવાદ (અપીલ્સ)માં નિમણૂક
રાજ્ય સરકારે વરિષ્ઠ IAS અધિકારી બી.એ. શાહને મહેસૂલ વિભાગ (અપીલ્સ), અમદાવાદના સચિવનો વધારાનો હવાલો સોંપ્યો છે. તેઓ હાલમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડના નિયામક તરીકે ફરજ બજાવે છે અને આ સાથે, આ હોદ્દા પરથી જેનુ દેવન, IASને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, સરકારે બે નિવૃત્ત IAS અધિકારીઓની પણ મહેસૂલ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કરાર આધારિત નિમણૂક કરી છે. આર.કે. મહેતા, જેઓ 2011ની બેચના નિવૃત્ત IAS અધિકારી છે, અને એન.એન. દવે, જેઓ 2012ની બેચના નિવૃત્ત IAS અધિકારી છે, તેઓ બંને મહેસૂલ વિભાગ (અપીલ્સ), અમદાવાદ ખાતે કરાર આધારિત સેવાઓ આપશે. તેમની નિમણૂક સાતમા પગાર પંચની ભલામણો અનુસાર છેલ્લો પગાર બાદ પેન્શન (Last Pay Minus Pension)ના સૂત્રના આધારે કરવામાં આવી છે. તેમની કરાર આધારિત નિમણૂકના અન્ય નિયમો અને શરતો અંગેની માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
મહેસૂલ વિભાગમાં આ ફેરબદલ અને નવી નિમણૂકો વહીવટી કાર્યક્ષમતા વધારવાના ભાગરૂૂપે જોવામાં આવી રહી છે. અનુભવી અધિકારીઓની કુશળતાનો લાભ લઈને વિભાગના કામકાજને વધુ સુદૃઢ બનાવવાનો સરકારનો પ્રયાસ છે.