વરસાદના કારણે બોર્ડની પુરક પરીક્ષા ન આપી શકનાર માટે ફરી આયોજન થશે
રાજ્ય સરકારે બોર્ડના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. બોર્ડની પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા હોવાથી બોર્ડના અનેક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શક્યા નહોતા.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થીના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે.