રમણ વોરા નકલી ખેડૂત હોવા છતાં ખેતીની જમીન ખરીદી, ભાજપના પૂર્વ MLA પૂનમ મકવાણાનો ધડાકો
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરાના બોગસ ખેડૂતના મામલે દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ એમની વિરુદ્ધ બાંયો ચઢાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં પૂનમ મકવાણાએ જણાવ્યુ હતું કે, અમે સાથે જમીન ખરીદી હતી, અમે સાચા ખેડૂત હતા, અને રમણભાઈ વોરા બોગસ ખેડૂત હતા, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમણ વોરા ખોટા ખેડૂત બન્યા હોવાના કેસમાં ઈડર મામલતદાર અને કૃષિ પંચે નોટિસ ફટકારી છે. જેમાં ઓગણજની સરવે નંબર 719/3ની જમીનના ખેડૂત રમણભાઈ ઈશ્વરભાઈ પટેલનો અટક વિનાનો ખેડૂત ખરાઈનો દાખલો રજૂ કરીને પાલજ અને ત્યારબાદ ઈડર પાસેના દાવડ ખાતે જમીનો ખરીદી હતી. ખોટા ખેડૂત હોવાનો પર્દાફાશ થયા બાદ તંત્રને પણ પગલાં લેવાની ફરજ પડી હતી.
આગામી 11 સપ્ટેમ્બરે રમણ વોરા પત્ની કુસુમબેન રમણ વોરા, તેમના બંન્ને પુત્રો સુહાગ અને ભૂષણને પણ હાજર થવા માટે મામલતદારે નોટિસ આપી છે. ત્યારે આ મામલે દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા વિરુદ્ધ બાંયો ચઢાવી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ બાબતની શરૂૂઆત 2004થી થઇ હતી.
જેમાં 2004મા અમે સાથે રહી અને પાલજની જમીન અમે ખરીદી હતી. એ વખતે અમે ખુબ નજીકના મિત્રો હતા, એ સમયે રમણભાઈ ખેડૂત નહોતા, રમણભાઈએ દસ્ક્રોઈ તાલુકાના ઓગણજ ગામ ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈના ભળતા નામથી એમણે ઉતારો લીધો અટક લખાવ્યા સિવાય, એ નામનો જે ઉતારો લીધો એના આધારે તેઓ ખેડૂત બન્યા,રમણભાઈ ઈશ્વરભાઈ વોરા છે અને પેલો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે, કે જેમણે પણ કહ્યું છે કે,આ એમણે બોગસ દાખલો લીધો છે, 2004મા અમે આ જમીન લીધી જે 2016 સુધી અમારા નામો અંદર રહ્યાં,અને 2016મા રમણભાઈએ અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિન અવેજ પારગતી લેટ કરીને જમીન એમના એકલા નામે કરી હતી.