રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણી
રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા
નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર પુષ્પ વર્ષા, અનેક લોકો હિબકે ચડ્યા, ભારે ગમગીન વાતાવરણ
ગુજરાત મિરર, રાજકોટ તા. 16
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયા બાદ આજે ચાર દિવસ પછી તેમનો પાર્થિવદેહ સોંપવામાં આવતા બપોરે વિમાનમાર્ગે તેમનો પાર્થિવદેહ રાજકોટના હિરાસર એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન વૈકુઠ રથમાં સ્વ. વિજયભાઈનો નસ્વર દેહ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડીએ લાવવામાં આવ્યો હતો. અને ત્યાંથી બપોરે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) લઈ જવામાં આવેલ. ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, સામેનો રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચશે. સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ છે.
સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન સ્વ. વિજયભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી નીકળી છે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી વૈકુઠ રથમાં સ્વ. વિજયભાઈનો પાર્થિવદેહ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો ત્યારે રસ્તામાં ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તો કેટલાક કાર્યકરો આગેવાનો સ્વ. વિજયભાઈ સાથેના સંસ્મરણો વાગોળી ધૃસ્કે-ધૃસ્કે રડી પડ્યા હતાં
આજે રાજકોટમાં ભારે કરુણા સભર વાતાવરણ રહ્યું હતું. સ્વ. વિજયભાઈની અંતિમયાત્રામાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉમટી પડ્યા છે. તમામ ક્ષેત્રના લોકોએ લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહ્યા હતાં.
કાલે રાજકોટમાં, ગુરુ-શુક્રવારે ગાંધીનગરમાં પ્રાર્થનાસભા
સ્વ. વિજયભાઈની પ્રાર્થનાસભા આવતીકાલ મંગળવાર, 17 જૂન 2025 ના રોજ સાંજે 3.00 થી 6.00 વાગ્યા સુધી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે યોજાશે. ગુરુવાર, 19 જૂન 2025 ના રોજ સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે પરિવાર દ્વારા અને ગાંધીનગરમાં ભાજપ દ્વારા શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે.
ગુજરાતમાં એક દિવસનો રાજ્યશોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂૂપાણીના દુ:ખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ આજે ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવ્યો છે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આ નિર્ણય વિજય રૂૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.