22 વર્ષ પહેલા આપેલા રાજકોટવાસીઓના આશીર્વાદે કરજદાર બનાવ્યો છે: પીએમ
- રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48 હજાર કરોડના વિકાસ કાર્યનું નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- દુનિયાની પાંચમી મોટી અર્થ વ્યવસ્થામાં હેલ્થ સેક્ટર કેવું હોવું જોઈએ તેની એક ઝલક આજે રાજકોટમાં જોવા મળી, એઈમ્સની કામગીરી જોઈ મોદીએ વખાણ કર્યા
- એરપોર્ટથી રેસકોર્સ સુધીનો ભભકાદાર રોડ શો યોજાયો, રેસકોર્સ ખાતે લાખોની જનમેદનીને સંબોધી વડાપ્રધાન વિપક્ષોને આડે હાથ લીધા
- આજનો દિવસ માત્ર રાજકોટ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે ભારતને ત્રીજી આર્થિક મહાશક્તિ બનાવવાની મોદીની ગેરંટી
રાજકોટ ખાતે રાજય સરકાર દ્વારા આયોજીત એઈમ્સ રાજકોટ સહિત 48 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ તકે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, એક સમય હતો જ્યારે દેશના તમામ પ્રમુખ કાર્યક્રમો દિલ્લીમાં જ થઈ જતાં હતા.
અમે ભારત સરકારને બહાર લાવીને દેશના ખૂણે ખૂણે પહોંચાડી દીધી છે અને આજે રાજકોટ પણ પહોંચી ગઈ છે અને આજનો આ કાર્યક્રમ એ વાતનો સાક્ષી છે. આજે રાજકોટથી એઈમ્સ રાજકોટ, એઈમ્સ રાયબરેલી, એઈમ્સ મંગલગિરી, એઈમ્સ ભટિંડા અને એઈમ્સ કલ્યાણીનું લોકાર્પણ થયું છે. 05 એઈમ્સ અને વિકસિત થતું ભારત આ રીતે જ તેજ ગતિથી કાર્ય કરી રહ્યું છે અને કાર્ય પૂર્ણ પણ કરી રહ્યું છે.
આજે હું રાજકોટ આવ્યો છું તો જૂની યાદો પણ યાદ આવી રહી છે. ગઇકાલે મારા જીવનનો વિશેષ દિવસ હતો. મારી યાત્રાની શરૂૂઆતમાં રાજકોટનો સૌથી વિશેષ ફાળો છે, 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી ના રોજ રાજકોટે મને પ્રથમ વખત આશીર્વાદ આપી અને ધારાસભ્ય બનાવ્યો હતો અને આજે 25 ફેબ્રુઆરીના રોજ જીવનમાં પહેલીવાર રાજકોટના ધારાસભ્ય પદના ગાંધીનગર વિધાનસભામાં શપથ લીધા હતા, પરંતુ આજે 22 વર્ષ પછી હું રાજકોટના એક એક પરિજનોને ગર્વ સાથે કહી શકું છું કે, તમારા ભરોસા પર ખરા ઉતારવાની પૂર્ણ કોશિશ કરી છે.
આજે સમગ્ર દેશ મને આટલા આશીર્વાદ અને પ્રેમ આપી રહ્યો છે ત્યારે તેના હકદાર રાજકોટના સૌ મારા પરિજનો પણ છે. આજે જ્યારે સમગ્ર દેશ એનડીએ સરકારને આશીર્વાદ આપી રહ્યો છે. આજે સમગ્ર દેશ અબકી બાર400 પાર નો વિશ્વાસ આપી રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત એક એક પરિજનોને શીશ નમાવીને વંદન કરું છું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આજે સવારે ભગવાન દ્વારકાધીશના દર્શનનો અવસર પ્રાપ્ત થયો અને ભગવાન દ્વારકાધીશની પુરાતત્વ નગરી દ્વારકા નગરીના સમુદ્રની અંદર જઈને દર્શન કરવાનો અવસર મને મળ્યો. ભગવાન કૃષ્ણની વસાવેલી નગરી દ્વારકા ભલે દરિયામાં હોય કોઈકના કોઈક દિવસ જઈશ અને માથું નમાવીશ એવી ઈચ્છા હતી.