223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટ
શેરબજારની ટિપ્સના નામે વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી રૂૂા.223 કરોડના સાયબર ફ્રોડની રવિસિંઘ સહિત 26 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પકડાયેલા અમદાવાદના 24 વર્ષના જય વિનોદભાઈ પંડયાની ધરપકડ બાદની પ્રથમ જામીન અરજી ખાસ અદાલતે રદ કરી છે.
આ અંગેની હકીકત મુજબ, મહિલા કોલર્સ મારફત ફોન કરાવી શેરબજારની નફાકારક ટિપ્સ માટે લલચાવી ફરિયાદી ભરતભાઈ રમેશભાઈ મહેતા (રહે. ભાવનગર)ને ટુ-યુનિટી એન્ડ પ્રોગ્રેસ ટુગેધર નામના વોટસએપ ગ્રુપમાં સામેલ કર્યા બાદ રવિસીંગ નામના શખસે મેસેજ મોકલેલ, તેમાં ફરીયાદીએ આ મેસેજનો હકારાત્મક જવાબ આપતા માયા જગત મિતલ અને માયા એ. ઈમાની મારફત ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, ત્યારબાદ ઈમાનીએ ડિમેટ એકાઉન્ટમાં ભરતભાઈ પાસે ખાતાઓ રૂૂા. 1 કરોડ જમા કરાવેલ. પરંતુ રવિસિંગે ફરીયાદી ભરતભાઈના ડિમેટ એકાઉન્ટમાં સાડા છ કરોડ રૂૂપિયાનું બેલેન્સ બતાવેલ.
આ રકમ જોઈ લલચાઈ ગયેલા ભરતભાઈએ ઈમાનીના જણાવ્યા મુજબ અલગ અલગ એકાઉન્ટમાં 53 લાખ જમા કરાવેલ. ફરીયાદીએ પોતાના એકાઉન્ટની રકમ વિથડ્રો કરવા માટે જણાવતા ઈમાનીએ આ રકમો વિથડ્રો કરવા માટે વી.આઈ.પી. એકાઉન્ટ બનાવવાનું જણાવી અલગ અલગ તબકકે રૂા. 223-કરોડ ફરીયાદી પાસેથી મેળવેલ અને ત્યારબાદ ફરીયાદીને કોઈ રકમ કે શેર આપવામાં આવેલ નહીં, આથી ભરતભાઈ મહેતાએ વોટ્સએપ ગ્રુપના જુદા જુદા 26 લોકો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અમદાવાદના જય વિનોદભાઈ પંડ્યાના જુદા જુદા બેંક ખાતામાં ખાતામાં રૂૂપિયા 1.11 કરોડ જમા થયા હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા આરોપી જય વિનોદભાઈ પંડયાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટની સુચનાથી તેને જેલ હવાલે કરાયો હતો.
દરમિયાન આરોપી જય વિનોદભાઈ પંડયાએ કરેલી જામીન અરજીમાં દલીલો કરવામાં આવેલ કે ફરીયાદી પાસેથી પૈસા મેળવવામાં આવેલ છે, તે સમયે તેઓ બીજા ગુનામાં જેલમાં હતા. આ કારણસર આ આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવેલ હોવાની રજુઆત કરવામાં આવી હતી. જે સામે સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, આ સાયબર ક્રાઈમમાં 26 આરોપીઓના વોટસએપ ગ્રુપ મારફત આચરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં તમામ આરોપીઓને વોટસએપ ગ્રુપના એડમિન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ મુજબની ફરીયાદ અને હકિકતથી આરોપીઓએ ફરીયાદી પાસેથી માતબર રકમ મેળવેલ હોવાનું સાબિત થાય છે, તેઓના નામ ફક્ત વોટસએપ મોબાઈલ નંબર ઉપરથી જ મળી આવે છે. આ પ્રકારના સાયબર કૌભાંડમાં આરોપીઓને તેમના નામથી પકડી શકાતા નથી.
પરંતુ જે લોકોએ જુદી જુદી બેંકોમાં પોતાના એકાઉન્ટ નંબરમાં નાણા મેળવેલ હોય તે લોકો આ કૌભાંડમાં મદદગારી કરનાર તરીકે આરોપી બને છે. હાલના કેસમાં આરોપીના બેંક એકાઉન્ટમાં ફરીયાદીના નાણા જમા થયેલ હોવાના કારણે ગુન્હો બને છે. જે રજૂઆતો ધ્યાને લઈ સ્પેશિયલ કોર્ટ જજ જે.આર. શાહ દ્વારા આરોપી જય વિનોદભાઈ પંડ્યાની જામીન અરજી રદ કરવામાં આવી છે. આ કામમાં સરકાર વતી જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા છે.