દ્વારકામાં રાધાષ્ટમી નિમિત્તે રાજાધિરાજને રાધિકા સ્વરૂપ શૃંગાર
રાધાષ્ટમી પર્વ નિમિત્તે બુધવારે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશને રાધિકા સ્વરૂૂપ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. સવારે મંગલા આરતી બાદ શ્રીજીને માખણ-મિશ્રી ભોગ ધરાવવામાં આવ્યો હતો. આજના દિવસે ઠાકોરજીને રાજભોગમાં અદકી વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. રાધિકા સ્વરૂૂપના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. દેશ વિદેશના લાખો કૃષ્ણ ભકતોએ પણ ઓન લાઈનના વિવિધ માધ્યમથી દ્વારકાધીશના રાધિકા સ્વરૂૂપ શૃંગાર નિહાળી ભાવવિભોર બન્યા હતા.
હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ભાદરવા સુદ આઠમના રોજ રાધાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આજના દિવસે જે કોઈ સાચા હૃદયથી રાધાકૃષ્ણની પૂજા કરે તેને સૌભાગ્ય, આરોગ્ય, ધન અને સંપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુકિત મળે છે.
રાધાષ્ટમી એટલે રાસરસેશ્વરી શ્રીરાધાજીનો પ્રાગટય દિવસ. વૃષભાનુ અને કીર્તિદાના પુત્રી રાધાનો જન્મ બરસાનામાં થયો હોય જ્યાં આજે પણ જયશ્રીકૃષ્ણ નહિં પરન્તુ રાધે રાધે નો નાદ ગુંજતો જોવા મળે છે. કૃષ્ણની વૃજલીલામાં રાધિકા છે. વૃજની કુંજગલીઓ, કંદરાઓ, જમુનાતટ, બંસીવટ, વનો - ઉપવનો, સરોવરો-કુંડો રાધિકા વિના સૂના છે કારણ કે રાધા ન હોત તો માખણ ચોરી, ગોવર્ધન લીલા, રાસલીલા, હોરીખેલ સહિતની લીલાઓ ન હોત. ગોલોકની કલ્પન રાધારાણી વિના શક્ય નથી. સ્વયં શ્યામ રાધા વિના અધૂરા છે અને ગુજરાતી તથા વૃજ સાહિત્ય પણ.
ગુજરાતી સાહિત્યમાં કવિતાઓ, લેખ અને કથાઓમાં હજારો આલેખન રાધાકૃષ્ણના પ્રેમ, મિલન, વિરહ, ગોપીઓ, વૃંદાવન રાસ, પનઘટ પર લખાયેલાં છે. રાધાજીનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિ:સ્વાર્થ છે. તેઓ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણને સમર્પિત છે. રાધાજી શ્રીકૃષ્ણ પાસેથી કોઈ કામનાપૂર્તિ નથી ઇચ્છતાં. તેઓ સદા શ્રીકૃષ્ણના આનંદ માટે ઉદ્યત રહે છે. તે જ રીતે મનુષ્ય સર્વસ્વ સમર્પણની ભાવના સાથે કૃષ્ણપ્રેમમાં લીન થાય છે ત્યારે જ તેઓ રાધાભાવ ગ્રહણ કરી શકે છે. કૃષ્ણપ્રેમનું શિખર રાધાભાવ છે, તેથી જ શ્રીકૃષ્ણને પામવા માટે દરેક ભક્ત રાધારાણીનો આશ્રય લે છે.
પુરાણો-ઉપનિષદોમાં રાધાજીનો ઉલ્લેખ
જયાં શ્રીકૃષ્ણ છે ત્યાં રાધા છે અને જયાં રાધા છે ત્યાં જ શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વગર રાધા અથવા રાધા વગર શ્રીકૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી જ રાધાજી મહાશક્તિ કહેવાય છે. જેમનો વિવિધ પુરાણો - ઉપનિષદોમાં ઉલ્લેખ કરાયો છે. રાધોપનિષદમાં રાધાજીનો પરિચય આપતાં કહેવાયું છે કે, કૃષ્ણ તેમની આરાધના કરે છે, તેથી જ તેઓ રાધા છે. વ્રજમાં ગોપીઓ અને દ્વારકાની પટરાણીઓ આ જ શ્રી રાધાનું અંશરૂૂપા છે. રાધાજી અને શ્રીકૃષ્ણ એક હોવા છતાં પણ ક્રીડા માટે બે થઈ ગયા છે. રાધિકા શ્રીકૃષ્ણના પ્રાણ છે. ભવિષ્યપુરાણ અને ગર્ગસંહિતા અનુસાર દ્વાપરયુગમાં જયારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા ત્યારે ભાદ્રપદ માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ મહારાજ વૃષભાનું અને માતા કીર્તિને ત્યાં ભગવતી રાધાજી અવતરિત થયાં ત્યારથી ભાદરવા સુદ આઠમ રાધાષ્ટમી તરીકે વિખ્યાત થઈ.