ગૃહમાં વરિષ્ઠ અધિકારીઓની ગેરહાજરીથી ઉઠેલા સવાલો
વિધાનસભાના ચાલુ સાતમા સત્રના ત્રીજા દિવસે સિનિયર અધિકારીઓની ગેરહાજરીનો મુદ્દો ગૃહમાં ગરમાયો. ગુજરાત કારખાના સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની ગેરહાજરી પર કડક ટકોર કરી. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નિવેદન દરમિયાન અધ્યક્ષે સ્પષ્ટપણે પૂછ્યું, આજે વિભાગના અધિકારીઓ આ સમયે કેમ હાજર નથી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારી વિધેયકની ચર્ચા દરમિયાન સંબંધિત વિભાગના સિનિયર અધિકારીઓએ ગૃહમાં હાજર રહેવું જોઈએ.
અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મામલે કડક વલણ અપનાવતા મુખ્ય સચિવ પંકજ જોશીને તાત્કાલિક આ ગેરહાજરીની નોંધ લઈ જાણ કરવા સૂચના આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે વિધાનસભા સત્ર દરમિયાન અધિકારીઓની હાજરી નિયમોનું પાલન અને ગૃહની ગરિમા જાળવવા માટે અનિવાર્ય છે. આ ઘટનાએ વહીવટી તંત્રની જવાબદારી અને શિસ્ત પર સવાલો ઉભા કર્યા છે. અધ્યક્ષની આ સૂચના બાદ મુખ્ય સચિવ દ્વારા આ અંગે તપાસ અને કાર્યવાહીની અપેક્ષા છે.