મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શન
મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના લોકોએ આજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. આ ચક્કાજામથી લાંબો ટ્રાફિકજામ થયો છે.આથી પોલીસ કાફલાએ દોડી જઈને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પણ લોકોએ જ્યાં સુધી કમિશનર અને ધારાસભ્ય ન આવે ત્યાં સુધી નહીં હટાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ક્ધયા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે. જેને કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં શ્રી કુંજ- 1, શ્રી કુંજ 2, અવધ -1, અવધ 4 , સરદાર, ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલ છે. આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યું છે. આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી. આખું મોરબી જ ખાડામાં છે. નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી. ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો આ રોડના પ્રશ્નનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવુ જ નહીં. આ સાથે સ્થાનિકોએ ખાડા બુરો, રોડ બનાવોના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા.
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી ત્યાંની આજુબાજુની સોસાયટીના રહીશોને ભારે હાલાકી પડી રહી હતી. પરિણામે તેઓએ રોષે ભરાઈને આજે બે કલાક જેટલો સમય શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ વેળાએ તેઓએ મ્યુનિસિપલ કમિશનર આવી રોડનું કામ શરૂૂ કરાવે તેવી માંગ કરી હતી. જો કે ત્યારે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ આવીને ખાડા બુરવાનું કામ શરૂૂ કરાવી મામલો થાળે પાડયો હતો.
મોરબીમાં ક્ધયા છાત્રાલય રોડના રહીશોએ જન આંદોલન કરી ખાડા બુરવાનું કામ તાત્કાલિક શરૂૂ કરાવ્યા બાદ હવે આલાપ રોડ ઉપરના રહીશોએ પણ મહાપાલિકાને રોડના રીપેરીંગ માટે સાંજના 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. નહિતર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું છે કે મોરબીમાં આલાપ સોસાયટીથી એસપુ રોડને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ મામલે રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી મહાપાલિકાને બુધવારે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો ત્યાં સુધીમાં રોડ રીપેરીંગ કરવાનું કામ શરૂૂ કરવામાં નહિ આવે તો ચક્કાજામ કરવામાં આવશે.
આ ચક્કજામમાં નંદનવન, ગજાનંદ, આરાધના, સતાધાર, હરિહર નગર, આલાપ પાર્ક, ખોડિયારનગર, પટેલ નગર, કર્મભૂમિ, અંજલિ પાર્ક, નવજીવન, સૂર્યકીર્તિ, મધુવન, રામદેવ સહિતની 18 જેટલી સોસાયટીઓના રહીશો જોડાશે.