ડિપ્લોમા ઇજનેરમાં પ્રવેશ માટે તા.15મીથી પ્રક્રિયા શરૂ
તા.23 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે: 73 હજાર બેઠક માટે કાર્યવાહી થશે
ગુ
ધો.10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ ઇચ્છતાં હોય તેઓએ આગામી 15મી મેથી લઇને 23મી જૂન સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. ગતવર્ષે અંદાજે 73 હજારથી વધારે બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી હતી. ધો.10 પછી ધો.11માં પ્રવેશની સાથે સાથે મોટાભાગના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં હોય છે. ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન દરમિયાન જ જરૂૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. ધો.10ની માર્કશીટની સાથે સાથે જે વિદ્યાર્થીઓને લાગુ પડતુ હોય તેઓએ માતા-પિતાની આવકનું સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ એસઇબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એનસીએલ અને આર્થિક રીતે પછાત વર્ગમાં આવતાં હોય તેઓએ ઇડબલ્યુએસ કેટેગરીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ગતવર્ષે કુલ 73 હજાર બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે સરકારી કોલેજોમાં હાલમાં 22 હજાર બેઠકો ઉપલબ્ધ છે.
આજ રીતે ખાનગી કોલેજોમા અંદાજે 45 હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે થયેલા પ્રવેશ કાર્યવાહી દરમિયાન સરકારી કોલેજોની 87 ટકા બેઠકો ભરાઇ ગઇ હતી. આજ રીતે ખાનગી કોલેજોની કુલ બેઠકો પૈકી 45 ટકા બેઠકો ભરાઇ હતી. ચાલુવર્ષે ત્રણથી વધારે સંસ્થાઓએ નવી કોલેજ માટે દરખાસ્ત કરી છે. જેના કારણે કેટલીક બેઠકોનો વધારો થશે. બીજીબાજુ કેટલીક સંસ્થાઓએ કેટલાક કોર્સ બંધ કરવા માટે પણ દરખાસ્ત કરી હોવાથી બેઠકોની સંખ્યામાં સરેરાશ કોઇ મોટો તફાવત આવે તેમ નથી. પ્રવેશના નિયમોમાં ચાલુવર્ષે કોઇ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા નથી. આમછતાં બીજી વખત પરીક્ષા લેવાના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓને કેવી પ્રવેશ આપવો તેના અંગે સ્પષ્ટતાં કરવામાં આવશે.
ધો.10 પછી આઇટીઆઇ કે અન્ય બે વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ ફાળવવામાં આવે છે. ગત તા.13મી એપ્રિલથી 30મી એપ્રિલ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂૂ કરવામાં આવ્યું હતુ. રાજયની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર-પીપીપી મળીને 107 સંસ્થાઓની 40051 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રવેશ સમિતિ દ્વારા આજે પ્રોવિઝનલ મેરિટલીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ યાદીમાં કુલ 1904 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેરિટમાં પ્રથમક્રમે આવતાં ઉમેદવારને 300 મેરિટમાર્કસ છે. પ્રવેશ માટે કુલ 2008 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.