ખાનગી મેળાઓ નહીં થાય, તંત્ર અવઢવમાં
સરકારની ગાઈડલાઈન ન આવતા મનપાએ ગ્રાઉન્ડ ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયા જ હાથ ન ધરી
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનો ધાર્મિક અને મનોરંજનની દ્રષ્ટિએ અનોરુ મહત્વ રહ્યું છે. તંત્ર દ્વારા રેસકોર્સ ખાતે લોકમેળાનું આયોજન થતું હોય છે છતાં ભારે ભીડને પહોંચી વળવા માટે મનપા અલગ અલગ પાંચ મેદાનો ખાનગી મેળાને ભાડેથી આપતી હોય છે.
પરંતુ આ વખતે અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર દ્વારા કોઈ જાતની સુચના ન આવતા મનપાએ આજ સુધી મેળાના મેદાન માટે અગાઉથી કરવામાં આવતા ટેન્ડર પ્રસિધ્ધ કર્યા નથી. તેમજ મેળાના સંચાલકોને પણ આ વખતે રાહ ન જોતા તેમ જણાવી દેવામાં આવતા આ વર્ષે ખાનગી મેળાઓ નહીં થાય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેરમાં લોકમેળાની સાથો સાથ પાંચ સ્થળે ખાનગી મેળાનુ ંઆયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે.
મહાનગરપાલિકા દ્વારા નાનામૌવા સર્કલ, સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રીંગ રોડ સહિતના પાંચ સ્થળે આવેલા જેમની માલીકીના મેદાનો મેળાના સંચાલકોને ભાડેથી આપવામાં આવે છે. જેના માટે જન્માષ્ટમી પહેલા એક મહિના અગાઉ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. જે પ્રક્રિયા પૂર્ણ થતાં 10થી 12 દિવસનો સમય લાગતો હોય સંચાલકોને મંજુરી મળ્યા બાદ મેળાની તૈયારી કરવા માટે પણ ખાસો સમય લાગતો હોય છે. છતાં જન્માષ્ટમી નજીકમાં છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ભાડાના મેદાનો મેળા માટે આપવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી. અને દર વર્ષે મેળાનું આયોજન કરતા સંચાલકો દ્વારા પણ પુછપરછ શરૂ કરાતા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કાયમી ચાલુ રહેતા મેળાઓ સરકારે બંધ કરાવ્યા છે. આથી હજુ સુધી મેળા માટેની નવી ગાઈડલાઈન આવેલ નથી. આથી મેળાની તૈયારી ન કરતા તેવી જ રીતે તંત્રએ પણ જણાવ્યું છે કે, ગાઈડલાઈન મુજબ મેળાની તૈયારી કરવાની થાય છે.
લોકમેળા મુજબ ખાનગી મેળાને મંજુરી આપવામાં આવે તો રાઈડ્સનો ઘટાડો કરવો પડે તેમજ નિયમ મુજબ ગ્રાઉન્ડ ખાલી રાખવાનું થાય જે મેળાના સંચાલકોને પોસાય નહીં અને નુક્શાની વેઠવાનો વારો આવે આથી મંજુરી આપવી કે નહીં જે મુજબ તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે. અને હવે જન્માષ્ટમીના આડે ઓછા દિવસો હોવાથી મેળાના મેદાનની ટેન્ડર પ્રક્રિયા કરવી પણ અઘરી બની છે. આથી આ વખતે ખાનગી મેળાઓ થવાની શક્યતા નહીવત હોવાનું જાણવા મળેલ છે.
હાલ ખાનગી મેળા માટેની પ્રક્રિયા મનપાએ પડતી મુકી છે. પરંતુ જો સરકારની ગાઈડલાઈન સમયસર આવી જશે તો ઝડપી પ્રક્રિયા થકી મેળાના મેદાનો ભાડે આપી શકાશે કે કેમ ? તે અંગે ઘટતુ થશે તેમ તંત્રએ જણાવ્યું હતું.