વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ રાજકોટ એઈમ્સનું કરશે લોકાર્પણ
રાજકોટ શહેરની ભાગોળે એઈમ્સ જેવી અતિઆધુનિક સારવાર કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે એઈમ્સ હોસ્પિટલની કામગીરી પૂર્ણ થઈ જતાં તેના લોકાર્પણ માટેની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પીએમઓમાંથી આગામી તા.25મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સના લોકાર્પણ માટે રાજકોટ આવે તેવા નિર્દેશો આપતા કલેકટર તંત્ર અને એઈમ્સના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે.
રાજકોટ શહેર વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ જેવી સુવિધા આપી છે તેમજ સ્માર્ટ સિટી અને અટલ સરોવર જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. તેની તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ એઈમ્સ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
તાજેતરમાં જ પીએમઓમાંથી એઈમ્સની કામગીરીની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાન ગમે ત્યારે લોકાર્પણ કરવા માટે રાજકોટ આવશે તેવા નિર્દેશો આપી તંત્રને તૈયારીમાં લાગી જવા આદેશ આપ્યો છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ વિડિયો કોન્ફરન્સ થયા બાદ અંતે 25મીએ વડાપ્રધાન મોદી રાજકોટ આવે તેવા પીએમઓમાંથી નિર્દેશો કલેકટર તંત્રને મળતાં તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.
આગામી તા.22મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે અને ત્યારબાદ સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવે તેવા પીએમઓ ઓફિસમાંથી સંકેતો આપવામાં આવ્યા છે અને એઈમ્સની સાથોસાથ જનાના હોસ્પિટલ સહિતના વિકાસના કામોનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.