રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ STનો પ્રારંભ
05:21 PM Aug 22, 2025 IST | Bhumika
રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરુષોતમભાઈ રૂૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી બસનું પૂજન કર્યું હતું. તેમજ બસનું નિરીક્ષણ કરીને જરૂૂરી સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી.કલોતરા, ડેપો મેનેજર એન.વી.ઠુમ્મર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવોના હસ્તે લોકાર્પિત થયેલી 7 બસથી 16 ટ્રીપ અને 4046.18 કિલોમીટરનું દૈનિક સંચાલન થવા પામશે. આ બસનું રાજકોટથી ભાવનગરનું ભાડું રૂૂ. 304 (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂૂ. 544 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) અને રાજકોટથી દીવનું ભાડું રૂા. 579 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર જનતાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુસર એસ.ટી. નિગમ દ્વારા 100 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 7 બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં અન્ય 25-30 જેટલી એ.સી. બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવશે. રાજકોટથી ભાવનગરની પ્રીમિયમ બસ દરરોજ સવારે 6.15 કલાકે, 11.45 કલાકે અને સાંજે 4.30 કલાકે ઉપડશે. રાજકોટથી ઉનાની બસ રોજ સવારે 6 કલાકે, 11.30 કલાકે અને સાંજે 4 કલાકે ઉપડશે. જ્યારે રાજકોટથી દીવની બસ સવારે 8 કલાકે અને સાંજે 7.30 કલાકે ઉપડશે.
Advertisement
Advertisement