રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. રૈયાધાર સ્મશાન પાસે ઝુપડપટ્ટીમાં રહેતી સકીલા અશ્ર્વિનભાઈ શંગાળા (ઉ.20) નામની સગર્ભા આજે સવારે પોતાના ઝુંપડામાં ચુલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં ઝેરી અસર થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જો કે સારવાર કારગત ન નિવડતાં હોસ્પિટલના બીછાને તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 દિવસ પૂર્વે જ રાજકોટ કામ અર્થે પેટીયુ રડવા આવ્યા હતાં. મૃતકના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું અને હાલમાં તેને સારા દિવસો જઈ રહ્યાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.