પોરબંદરમાં કોર્ટે પુત્રનો કબજો માતાને સોંપતા : પિતા-પુત્રએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
પોરબંદરમાં કોર્ટે પુત્રનો કબજો માતાને સોંપવાના આદેશ બાદ પિતા-પુત્રે આપઘાતનો પ્રયાસ કર્યો છે. રોકડિયા હનુમાન મંદિર પાસે આવેલી રાધેશ્યામ સોસાયટીના રહેવાસી અરજનભાઈ મોકરીયા અને તેમના 12 વર્ષીય પુત્રએ ફિનાઇલ પી લીધું હતું.
અરજનભાઈના ભાઈ સમીરભાઈ મોકરીયાના જણાવ્યા મુજબ, અરજનભાઈ અને તેમના પત્ની દક્ષાબેન વચ્ચે છૂટાછેડા થયા હતા. બંને વચ્ચે પુત્રના કબજાને લઈને વિવાદ ચાલતો હતો. કોર્ટે પુત્રનો કબજો માતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.
પુત્રને તેની માતા પાસે જવું ન હતું. અરજનભાઈને પણ પુત્ર સાથે લાગણીનો સંબંધ હોવાથી તેઓ આ નિર્ણયથી વ્યથિત હતા. પ્રથમ અરજનભાઈએ ફિનાઇલ પીધું હતું અને ત્યારબાદ પુત્રએ પણ ફિનાઇલ પી લીધું હતું.
બંનેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સારવાર ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે. આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂૂ કરી છે.