ધુળેટીમાં ઘમાલિયાઓને કાબુમાં રાખવા પોલીસનો એક્શન પ્લાન
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ પર સઘન ચેકિંગ, ભીડવાળા વિસ્તારોમાં શી ટીમો રહેશે તૈનાત, પોલીસવડાએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતમાં હોળી-ધૂળેટી અને રમઝાન સહિતના તહેવારમાં ઘમાલીયાઓને કાબુમાં રાખવા પોલીસે ખાસ એકશનપ્લાન ઘડી કાઢયો છે અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા રાજ્યના પોલીસવડાએ તમામ જિલ્લાના પોલીસ વડાઓને સુચના આપી છે.
આગામી તહેવારો હોળી, ધૂળેટી અને રમઝાનના તહેવારોને અનુલક્ષીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરના પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગઇકાલે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષક સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું. શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં ખાસ શી ટીમો તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને આ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી. તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપવામા આવી હતી.
સોશિયલ મીડિયા પર ચાંપતી નજર, ધર્મસ્થળો પર બંદોબસ્ત
રાજ્યના પોલીસ વ઼ડાએ વીડિયો કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી. ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.