PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગાંધીનગરમાં કરશે ભવ્ય રોડ શો
PM નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન ગાંધીનગરમાં બે કિમી લાંબો રોડ શો કરશે. જ્યાં ૩૦ હજારથી વધુ ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરશે. તેમની સુરક્ષા માટે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શોમાં એક લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.
રોડ શો બાદ આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું અનાવરણ કરશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,006 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 22,055 ઘરોનું ઉદ્ઘાટન કરશે. આ પછી, પીએમ ₹ 1,000 કરોડના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નો શિલાન્યાસ પણ કરશે.
ત્યારબાદ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓને રૂ. ૩,૩૦૦ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે અને જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. ૮૮૮ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર થરાદ-ધાનેરા પાઇપલાઇન અને રૂ. ૬૭૮ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર દિયોદર-લાખાણી પાઇપલાઇનનો શિલાન્યાસ કરવામાં આવશે. અંતે, સંબોધન પછી, પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.