ફરવા માટે પર્સનલાઈઝ પેકેજ અને વુમન એન્ટરપ્રેન્યોરને આપે છે પ્રોત્સાહન
ટ્રાવેલ સ્ટોરીઝ દ્વારા નાની નાની બાબતોની કાળજી લઈને લોકોને યાદગાર પ્રવાસ કરાવે છે સપના જટાનિયા
રાજકોટ,જામનગર, જૂનાગઢ,ભાવનગર,સુરત, મુંબઈ,જયપુર સહિતના શહેરોમાં 500થી વધુ વુમન એન્ટરપ્રેન્યોરને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે સપના જટાનિયાએ
લોકો ફરવા જવાનું નક્કી કરે ત્યારે ઓનલાઇન બુકિંગ કરવાનું પસંદ કરે છે પરંતુ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ થાય છે.લોકો પોતાની અમૂલ્ય બચત વાપરીને જ્યારે ફરવા જવાનું નક્કી કરે છે ત્યારે અમે તેની ટુર યાદગાર બનાવવાનો તેમજ બેસ્ટ સર્વિસ આપવાનો પ્રયત્ન કરીએ છીએ આમ છતાં લોકોને જે તે સ્થળ વિશેનું, હોટેલના સમય તેમજ પ્રવાસન સ્થળ વિશે યોગ્ય નોલેજ ન હોવાના કારણે હેરાન થાય છે.અમે જે તે સ્થળની મુલાકાત લીધા બાદ નવા ડેસ્ટિનેશન સજેસ્ટ કરીએ છીએ અને પર્સનલાઈઝ પેકેજ તૈયાર કરી આપીએ છીએ’. ફરવા જવાની તૈયારી કરતા લોકો માટે ઉપયોગી ટિપ્સ આપતા આ શબ્દો છે રાજકોટના ટ્રાવેલ સ્ટોરીઝના ઓનર સપના નયનેશ જટાનિયાના જેઓ કનેક્ટ બિઝનેસ નેટવર્કિંગના ચેપ્ટર હેડ રહી ચૂક્યા છે.ટ્રાવેલિંગના બિઝનેસમાં પ્રવૃત્ત રહેવા સાથે વુમન એન્ટરપ્રેન્યોર માટે પણ તેઓએ ઘણી પ્રવૃત્તિ કરી છે.
જન્મ અને ઉછેર રાજકોટમાં થયો.અભ્યાસમાં ડબલ એમબીએ કર્યું. સૌપ્રથમ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં અને ત્યારબાદ હ્યુમન રિસોર્સીસમાં એમબીએ કર્યું. નાનપણથી સ્વભાવમાં જીવંતતા હતી.લોકો વચ્ચે રહીને કામ કરવું ગમતું. કોલેજના અભ્યાસ દરમિયાન લગ્ન થયા.
પરિવારમાં શેર માર્કેટનો અને ટ્રાવેલ્સનો બિઝનેસ હતો.તેઓએ એ કામમાં પણ રસ લીધો. લગ્ન પછી દીકરીનો જન્મ થતાં માતાની જવાબદારીને ન્યાય આપવા માટે દસ વર્ષ કામ છોડ્યું. દીકરી દસ વર્ષની થઈ ત્યારબાદ ફરીથી પતિના ટ્રાવેલ બિઝનેસમાં ઝુકાવ્યું.કામ સાથે ઘરની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા.રાજકોટમાં ટ્રાવેલ્સ સ્ટોરીઝનું નામ ખૂબ જાણીતું છે.કોરોનાના સમયમાં બિઝનેસ મંદ પડ્યો.દરેકના જીવનમાં ઉતાર ચડાવ આવે છે તેમ તેઓની સામે પણ અનેક પ્રશ્નો આવ્યા.આ સમયે કનેક્ટ ગ્રૂપ સાથે જોડાયા.5 સભ્યો થી શરૂૂ કરીને 550 જેટલા સભ્યો તેઓએ બનાવ્યા અને કામ કરતી મહિલાઓને એક મજબૂત પ્લેટફોર્મ આપ્યું. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરત, મુંબઈ, જયપુર સહિતના શહેરોમાં દર મહિને મીટિંગ કરતા અને બહેનોને પોતાના કામ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડતાં.અહીં ફક્ત બિઝનેસ માટે નહીં પણ મહિલાનો પોતાનો પણ વિકાસ થાય એવી પ્રવૃત્તિ કરાવતા.
હાલ તેઓ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગ્રુપના ચેપ્ટર હેડ છે ટ્રાવેલ બિઝનેસમાં અત્યારે ખૂબ હરીફાઈ છે ત્યારે સપનાબેન જણાવે છે કે અમે ટ્રાવેલ એજન્ટ નથી પરંતુ ટ્રાવેલ ડિઝાઈનર, ટ્રાવેલ ક્ધસલ્ટન્ટ છીએ. ક્યારેય કોઈને રેડી પેકેજ આપતા નથી.ખૂબ જ ઝીણી ઝીણી બાબતને ધ્યાનમાં રાખીને પર્સનલાઈઝ પેકેજ તૈયાર કરીએ છીએ.રાજકોટના નામાંકિત લોકો અમારા કસ્ટમર છે તે અમારી સફળતા છે.મારી સાથે મારા પતિનો પણ એટલો જ સહકાર મળે છે જેથી દરેક પ્રવૃત્તિ સારી રીતે કરી શકું છું.
સપનાબેન અને તેમના પતિ નયનેશભાઈને ફરવાનો ગાંડો શોખ હોવાથી તેઓ ઓફ બીટ ડેસ્ટિનેશન જેવા જોર્ડન,ઇજિપ્ત,કઝાકિસ્તાન સહિત અનેક દેશો ફર્યા છે.તેઓના અનુભવનો લાભ કસ્ટમરને પણ મળે છે. ટ્રાવેલિંગ હોય કે બિઝનેસ તેઓની સફર સફળ રહે અને સપનાબેનના દરેક સ્વપ્ના સાકાર થાય તેવી શુભેચ્છાઓ.
ઓફ બીટ ડેસ્ટિનેશન આપવું એ વિશેષતા
સપનાબેન જણાવે છે કે અમને પતિ પત્ની બંનેને ટ્રાવેલિંગનો શોખ હોવાથી વર્ષમાં સાતથી આઠ નેશનલ અને ઇન્ટરનેશનલ ટ્રીપ કરીએ છીએ.અમે જાતે જઈ અનુભવ કરીએ છીએ ત્યારબાદ કસ્ટમરને સજેસ્ટ કરીએ છીએ.જે જગ્યાએ ગયા નથી તેના વિશે ખાસ વેબિનાર કરીને જાણીએ છીએ અને લોકોને નવા ડેસ્ટિનેશન આપીએ છીએ.
રિલેશનશિપ સ્ટ્રોંગ બનાવો
પોતાના અનુભવો પરથી સંદેશ આપતા જણાવ્યું પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો એ જ સાચી મિલકત છે. જીવન અનિશ્ચિત બની ગયું છે ત્યારે નજીકના લોકો સાથે અમૂલ્ય સમય વિતાવી લો. બિઝનેસ હોય કે વ્યવહાર તમારી રિલેશનશિપને સ્ટ્રોંગ બનાવો.તમારુંં નેટવર્ક પાવરફૂલ બનાવો.તમારા નસીબમાં જે બિઝનેસ હશે તે તમને મળી જ રહેશે.મહિલાઓમાં અગણિત શક્તિઓ રહેલી છે તેનો પરિવાર માટે પોતાના માટે, અને સમાજ માટે ઉપયોગ કરો.
કનેક્ટ દ્વારા મહિલાઓને પ્લેટફોર્મ આપ્યું
તેઓ જણાવે છે કે વુમન એન્ટરપ્રિન્યોરને એક પ્લેટફોર્મ પર લાવવા માટે કનેક્ટ જોઈન કર્યું હતું. મહિલાઓને નેટવર્કિંગ માટે ઘણા પ્રશ્નો હતા,જે દૂર થાય તે રીતે કનેક્ટ ગ્રૂપની મીટિંગ રાખતા. કનેક્ટની સફર ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી અહીં મહિલાઓને બિઝનેસ માટે પ્લેટફોર્મ આપવા ઉપરાંત તેના ડેવલપમેન્ટ માટે પણ અમે પ્રયત્ન કરતા.બિઝનેસ ગ્રો થવા સાથે તેનો પોતાનો પણ વિકાસ થાય, પર્સનાલિટી ચેન્જ થાય તેવા એક્સપર્ટ, ગેસ્ટ સ્પીકરને ઇનવાઈટ કરતાં. ફોર્મલ મીટિંગ,કોફી મીટ,વર્ક પ્લેસ પર મીટિંગ,બુસ્ટર મીટિંગનું આયોજન કરતા અને ખૂબ મહત્વની વાત એ હતી કે એક મહિલા બીજી મહિલાની દુશ્મન કે કોમ્પિટિટર નહીં પરંતુ સાથીદાર બની સહકાર આપે તેવું વાતાવરણ ઉભું કર્યું હતું.અહીં ડોક્ટર્સ, બ્યુટીશન, ફૂડ એક્સપર્ટ સહિત દરેક ક્ષેત્રના બહેનો ભાગ લેતા.
અયોધ્યા-વારાણસી જવાનો લેટેસ્ટ ટ્રેન્ડ
અત્યારના ટ્રેન્ડ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે કોવિડ,પહેલગામ હુમલો તેમજ ફ્લાઇટ ક્રેશની ઘટના બાદ લોકો જીવનમાં અનિશ્ચિતતા અને અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. લોકોનું માનસિક વલણ બદલાયું છે. ગોવા, દુબઈ,સિંગાપોરની ટુરના બદલે લોકો અયોધ્યા, વારાણસી,હરિદ્વાર,ચારધામ વગેરે સ્થળે જવાનું પસંદ કરી રહ્યા છે. કચ્છમાં સફેદ રણ માટે પણ ઉત્સાહ હોય છે, આમ સ્પિરિચ્યુઅલ અને કલ્ચરલ ટ્રાવેલનો ટ્રેન્ડ શરૂૂ થયો છે.
Wriiten By: Bhavna Doshi