For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન્યૂડ કોલ-ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે: હર્ષ સંઘવી

04:33 PM Jul 25, 2025 IST | Bhumika
ન્યૂડ કોલ ડિજિટલ અરેસ્ટ સામે લોકો સાવધ રહે  હર્ષ સંઘવી

441.28 લાખના ખર્ચે નવનિમિત રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું મંત્રી રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ : રામનાથપરા રાજકોટ, આટકોટ, વીંછિયાના પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ

Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નું લોકાર્પણ તથા રામનાથપરા રાજકોટ, આટકોટ, વિંછીયા ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું તકતી અનાવરણ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ તેમજ મહાનુભાવોએ રૂૂ. 441.28 લાખના ખર્ચે નિર્મિત અદ્યતન રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ તકે પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલમાં ન્યુડ કોલ તેમજ ડિજિટલ અરેસ્ટ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સી.બી.આઈ. કે પોલીસ જેવી કોઈપણ સંસ્થાઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી. જે અંગે લોકોએ સાવધ થઈ, આવી બનતી ઘટના સમયે શરમ અને સામાજિક ડર છોડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, તેમજ કોઈપણ પ્રકારની રૂૂપિયાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં.

Advertisement

અન્ય ફ્રોડના કિસ્સાઓ જેવા કે, લલચામણી જાહેરાતો આપતી લીંક અંગે સાવધ કરતાં મંત્રીએ લોકોને આ પ્રકારની અજાણી લિંક પર ભરોસો ન કરવા તેમજ લીંક ના ખોલવા અને તેને શેર ન કરવા અનુરોધ કર્યો હતો. વિશેષમાં મંત્રીએ શહેરોની ટ્રાફિક સમસ્યાને લઈને ઉકેલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તમામ મહાનગરપાલિકાઓ સાથે મળીને લાંબા ગાળાના ટ્રાફિક મેનેજમેન્ટ વિશે આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત થવા અંગેના નિર્ણય વિશે મંત્રી સંઘવીએ વાત કરતા કહ્યું હતું કે, લોકોનું જીવન અમૂલ્ય છે, માત્ર દંડ ખાતર નહીં પરંતુ લોકો પોતાના જીવનને બચાવે અને સમાજને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી-કેટેગરીના 80 આવાસ, વિંછીયા ખાતે બી કેટેગરીના 32 તથા સી-કેટેગરીના 1 આવાસ તેમજ આટકોટ ખાતે સી-કેટેગરીના 1 આવાસ સહિત કુલ 114 પોલીસ આવાસનું લોકાર્પણ થતાં પોલીસ બેડામાં કામ કરતા પરિવારોને પણ સપનાનું ઘર મળશે તેમ હર્ષ વ્યક્ત કરતા સંઘવીએ તમામ પરિવારજનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

આજના કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યા, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય હિમકરસિંહ, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે ભરતભાઈ બોઘરા, માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement