દિવાળીના તહેવારોમાં પુરવઠા સર્વરના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન, ગાંધીનગર ફરિયાદ કરાઈ
સર્વરની સમસ્યાનું નિવારણ ન થાય તો લોકો સમક્ષ સ્પષ્ટતા કરવા પણ માગણી
રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં છેલ્લા પાંચ-છ દિવસથી સર્વરની નબળી કામગીરી અને વારંવાર ડાઉન થવાની સમસ્યા કાયમી બની ગઈ છે. દિવાળીના તહેવારની નજીક આ સમસ્યા વકરતા ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન (ગુજરાત વાજબી ભાવની દુકાનોના સંગઠન) દ્વારા આજે ગાંધીનગર ખાતે પુરવઠા શાખામાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ આ બાબતે જણાવ્યું કે, છેલ્લા પાંચ-છ દિવસથી રોજ સર્વરની સ્પીડ ઘટી જાય છે અને ક્યારેક એકદમ ઠપ્પ થઈ જાય છે. એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત અને ફોલોઅપ લેવા છતાં સમસ્યાનો અંત આવતો નથી.
મહામંત્રી જાડેજાએ સામાન્ય લોકોની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે, રાજ્યના મોટાભાગની વાજબી ભાવની દુકાનોમાં વિતરણ પુરબહારમાં ચાલી રહ્યું છે. લોકો તહેવારોને અનુસંધાને જથ્થો લેવા માટે લાઈનો લગાવે છે. લોકો પોતાના કામધંધા મૂકીને ટોળાવળીને દુકાનો ખાતે બેસી રહે છે અને કાગડોળે રાહ જોતા હોય છે. સર્વર સહિતની સમસ્યાઓને કારણે વાજબી ભાવના દુકાનદારોથી લઈને સરકાર બદનામ થઈ રહી છે. એસોસિએશને મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, મિનિસ્ટરી કે સરકારને આ ઇશ્યુને હાથોહાથ લઈને સામૂહિક જવાબદારી સમજીને કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે.
જો સર્વરની સમસ્યાઓનું નિરાકરણ ન થઈ શકે એમ હોય તો તે બાબતની સ્પષ્ટ જાહેરાત કરવા પણ માંગ કરાઈ છે, જેથી સામાન્ય લોકોને થતી હેરાનગતી નિવારી શકાય. મહામંત્રીએ કહ્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન પણ ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકોને લાચારી વેઠવી પડે એ આપણી નાલેસી છે. મૃદુ સરકારે આ સામાન્ય લોકોની વેદનાને સમજવી જોઈએ.