એરપોર્ટ પર ત્રણ કલાક વહેલા પહોંચવું, ભારે ચેકિંગને પગલે મુસાફરોને સૂચના
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે.
એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાના નિર્ધારિત પ્રસ્થાન સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે, જેથી ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિલંબ ન થાય. આ ઉપરાંત દિલ્હી, મુંબઇ સહીતના એરપોર્ટ પર પણ આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરાઇ છે.મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સરકાર માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખે અને સુરક્ષા કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે. દરેક મુસાફરને બોર્ડિંગ પહેલાં સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત રહેશે. સાથે જ, મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના ચેક-ઇન સામાન ઉપરાંત ફક્ત 7 કિલો વજનની એક હેન્ડબેગ જ લઈ જઈ શકશે.