કલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયસુખભાઈ અરજણભાઈ સોનગરા નામના 35 વર્ષના સતવારા યુવાન તેમના ફુવા શામજીભાઈ હીરાભાઈ નકુમ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 બી 4443 નંબરની આઈ-20 મોટરકારના ચાલકે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જતા ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેક્ટરના બેઠેલા શામજીભાઈ નકુમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભત્રીજા જયસુખભાઈ સોનગરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઈ-20 કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અપરિણીત વૃધ્ધે ગળાફાંસો ખાધો
મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતા બાપુડીયાભા જીવણભા માણેક નામના 65 વર્ષના વૃદ્ધના લગ્ન થયા ન હતા અને તેઓ એકલવાયું જીવન જીવતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે જિંદગીથી કંટાળીને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં આવેલા ઝાડમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવની જાણ આલાભા ઘેલાભા માણેક (ઉ.વ. 25, રહે. દેવપરા) એ મીઠાપુર પોલીસને કરી છે.