હવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો
પાટીલ સામે મોરેમોરો મારી ન દઉં તો મારૂં નામ ગોપાલ નહીં!
‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાછળ પણ ભાજપ પ્રમુખનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો આરોપ, વિસાવદરમાં ચૂંટાયા બાદ સુરતમાં ફુલ ફોર્મમાં
વિસાવદરમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા. સુરતના કામરેજથી લઈને વરાછા અને વેડ રોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સુરતની ધરતી પરથી તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, હવે એકપણ MLA તોડી બતાવો.
સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોપાલ ઇટાલીયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ, સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડેહાથ લીધા હતા. પાટીલને પડકાર ફેકતા ઈટાલિયાએ કહ્યું હતું કે, હવે એકપણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો. સી.આર.પાટીલ સામે મોરેમોરો મારી જ દઉ તો મારુ નામ ગોપાલ ઇટાલિયા નહીં.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ સામે જ બાગી બન્યા છે, ત્યારે ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખી અને આ આખો કાંડ કરાવી રહ્યાં છે. મારી સીઆર પાટીલને એક જ ચેલેન્જ છે કે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવા-ફોડવાની દુકાન માત્ર સીઆર પાટીલ ચલાવે છે. ઉમેશ મકવાણા જો ભાજપમાં જવાનો અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી ભાજપનું કામ કરવાનું વિચારતો હોય તો તેની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે.
ગોપાલ ઈટાલિયાએ સુરતના ખાડીપૂરને લઈને સરકારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ સુરતમાં ખાડી પુર આવ્યું છે. વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે, અને આ લોકોને કોણે બેસાડયા છે તે સવાલ આપણે કરવો જોઈએ. આપણી આત્માને હવે જગાડવાની જરૂૂર છે. આ પહેલા વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. આ બધા પૂર ભાજપસર્જિત પુર છે. કારણકે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડયા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે.
મારી જીતમાં ભાજપના કેટલાક લોકોનો સહકાર મળ્યો: ઇટાલિયા
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ વિસાવદરની પેટાચૂંટણીમાં જીત બાદ સૌથી જય જવાહર ચાવડા બોલીને ભાજપને ચાબખા માર્યા હતા. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, તેમને જીતમાં કેટલાક ભાજપના લોકોનો સહકાર મળ્યો છે. ગોપાલ ઈટાલિયાએ જુનાગઢમાં શનિવારે કહ્યુ હતું કે, તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. ઈટાલિયાના આ ઘટસ્ફોટથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી ગુજરાતમાં બધું બરાબર નથી તે પ્રકારનો સંદેશો ફેલાયો છે. કોંગ્રેસમાંથી આવેલા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પણ ભાજપની પયુઝ એન્ડ થ્રોથની નીતિ સામે ભૂતકાળમાં પણ વિરોધ વ્યક્ત કરતા રહ્યા. છતાં વિસાવદરમાં હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી પણ સાઈડલાઈન થયા છે.