સુરત એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફલેટ ખાલી કરવા નોટિસ
અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું; જે તે સમયે એરપોર્ટ ઓથોરિટીએ NOC, પાલિકાએ પરવાનગી આપી હતી, બની ગયા બાદ BUC અટકાવી
રૂા. બે થી પાંચ કરોડમાં ફલેટ ખરીદનારાઓની ઉંઘ હરામ, ફલેટ ખાલી નહીં કરનારાના પાણી અને નળ જોડાણો કાપી નાખવામાં આવશે
અમદાવાદમા એર ઇન્ડિયાનાં વિમાનની દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાનુ તંત્ર સફાળુ જાગ્યુ છે અને સુરત એરપોર્ટની આસપાસ આવેલ 9 જેટલા વૈભવી રહેણાંક બિલ્ડિંગનાં કુલ 151 જેટલા ફલેટ ખાલી કરવા નોટીસ આપતા સુરતની બિલ્ડર લોબીમા ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરત એરપોર્ટની આસપાસ સરકારની વિવિધ ઓથોરિટીઓની મંજુરી બાદ વર્ષો પહેલા બનેલા વૈભવી બિલ્ડિંગોના ફલેટ ખાલી કરવાની નોટિસો મળતા ફલેટ ધારકોમા પણ ચિંતાની લાગણી ફેલાયેલ છે. રૂા. બે કરોડથી માંડી રૂા. પાંચ કરોડની કિંમતનાં ફલેટ ખરીદનાર લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે.
સુરતમાં એરપોર્ટને નડતર રૂૂપ 151 વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે, કાસા રિવેરા, KPM ટેરાપ્રાઈમ, સેલેસ્ટીયલ ડ્રીમ્સને નોટિસ આપવામાં આવી છે, બિલ્ડિંગ બન્યા પહેલા એરપોર્ટ ઓથોરિટીએ NOC આપી હતી અને NOC ના આધારે મનપાએ બિલ્ડિંગ બાંધવા પરવાનગી આપી હતી, બિલ્ડિંગ બની ગયા પછી AAI એ સ્ટેટસ ક્વોનો રિપોર્ટ આપ્યો.
BU પરમીશન વગર જ બિલ્ડરોએ ફ્લેટ વેચી નાખ્યા હોવાની વાત સામે આવી છે, મનપાના આદેશને પગલે ફ્લેટ માલિકોની કફોડી સ્થિતિ બની છે, ફ્લેટ ખાલી નહીં કરનારના પાણી, ડ્રેનેજના કનેક્શન કપાશે અને બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી અને જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી, બિલ્ડીંગ બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મુકવા પાલિકાને રિપોર્ટ કર્યો.
પ્રથમ તબક્કામાં પાલિકા તંત્રએ એરપોર્ટની આસપાસ અથવા તો એરોડ્રમ વિસ્તારમાં આવતી અને બીયુસી વિના વસવાટ થતો હોય એવી ગગનચૂંબી મિલકતો સામે લાલ આંખ કરી છે. શનિવારે પાલ-વેસુના બે પ્રોજેક્ટો બાદ હવે ન્યૂ સિટીલાઇટ રોડ-કેનાલ રોડ પર આવેલા સેલેસ્ટીઅલ ડ્રીમ્સ પ્રોજેક્ટની બે બિલ્ડીંગને નોટીસ ફટકારી છે. બન્ને બિલ્ડીંગમાં વસવાટ કરતા 41 ફ્લેટધારકોને વસવાટ ખાલી કરવાનો આદેશ કરાયો છે.પાલિકા તંત્રએ એરપોર્ટની આસપાસ જ નહીં. પરંતુ એરપોર્ટના એરોડ્રમ વિસ્તારમાં આવતી બિલ્ડીંગો સામે કાયદાનો કોરડો વીંઝ્યો છે.
પાલના કાસા રિવેરા અને વેસુના કેપીએમ પ્રોજેક્ટની બિલ્ડીંગોને બીયુસી આપ્યું ન હોવા છતાં ગેરકાયદે વસવાટ શરૂૂ કરી દેવાતા પાલિકાએ બન્ને પ્રોજેક્ટોના અલગ અલગ બિલ્ડીંગમાં વસવાટ કરનારાઓને તાત્કાલિક અસરથી વસવાટ ખાલી કરવા આદેશ કર્યો હતો. જેમાં હવે કાર્યવાહીનો દૌર ન્યૂ સિટીલાઈટ-કેનાલ રોડ પર આવેલા સેલેસ્ટીઅલ ડ્રીમ્સ પ્રોજેક્ટ સુધી પહોંચ્યો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યૂ સિટીલાઇટ-કેનાલ રોડ પર આવેલા સેલેસ્ટીઅલ ડ્રીમ્સ પ્રોજેકટોમાં ઘણી બિલ્ડીંગ છે.
હવે શું કાર્યવાહી કરવી તે કલેક્ટર નક્કી કરશે
2-3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાંખવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.