દેવી-દેવતાઓના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ અપાશે
અમદાવાદમાં મળેલી સનાતન ધર્મ સમિતિની બેઠકમાં નિર્ણય: યોગ્ય ખુલાસા નહીં મળે તો કોર્ટ કાર્યવાહી
સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે ગઈકાલે સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને સંતો વચ્ચે ગોષ્ઠીનું આયોજન અમદાવાદના મીઠાખળી ખાતે થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર જે રીતે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને એક અઠવાડિયામાં નોટિસ આપવામાં આવશે. સનાતન ધર્મ અને દેવી-દેવતાઓના અપમાનને લઈને કાર્યવાહી કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદ અને અન્ય કેટલાક તથ્યો સામે આવતા હવે કાયદેસર રીતે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ એક અઠવાડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને અમે નોટીસ પાઠવીશું. તેઓએ ધર્મને હાની કરી છે. પુસ્તકો, વેદો અને બાળવાર્તાઓની વાતો લઈને તેમના પાત્રો ગોઠવી દીધા છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી બતાવવાની કોશિશ કરી છે. ઘનશ્યામ પાંડેને સર્વોપરી માનવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સનાતન ધર્મના જે દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે. જે સૃષ્ટિની પરંપરા છે, જેને દરેક ધર્મના લોકોએ સ્વીકારી છે તે મૂળભૂત પરંપરાને નાશ કરી છે અને કોઈપણ પ્રગટ બ્રહ્મ સ્વરૂૂપ બની જાય છે. અમે લીગલ એક્શન માટે આગળ વધવા જઈ રહ્યા છીએ. સનાતન ધર્મને હાનિક કરનારા તત્વોને સમાજમાંથી બહાર કાઢવા અને પાઠ ભણાવવામાં આવશે.
સમાજ સુધારક ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાથી વિવાદ શરૂૂ થયો છે. ઘણા બૌદ્ધિક લોકોને સનાતન ધર્મના સંતો-મહંતોએ આ તમામ બાબતો ઉપર ગહન અભ્યાસ કર્યો છે. સંતો-મહંતો અને પ્રબુદ્ધ લોકોના અભ્યાસના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના 100થી વધુ પુસ્તકોમાં ઘણા પુરાવા મળ્યા છે. જેમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓ પર સાહિત્ય એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે સત્યથી દૂર છે. બાળ સાહિત્યથી રજૂ કરવામાં આવે છે, જેથી બાળક નાનું હોય ત્યારથી જ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
દેશમાં લોકશાહીનો અધિકાર મળ્યો છે. લોકો પોતાના ધર્મ અને સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી શકે છે, એની સામે કોઈ વાંધો નથી. મૂળભૂત જે સનાતન ધર્મ છે, તેના દેવી-દેવતાઓને નીચા બતાવવાનો અને તેમનું અપમાન કરવામાં આવે છે. પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવાના એવા તમામ વિષય ઉપર પહેલી બેઠક સાધુ-સંતોની લીંબડીમાં થઈ હતી. બીજી જુનાગઢ, સુરત અને રાજકોટના ત્રંબામાં થઈ હતી. આ તમામ મિટિંગોના અંતે જુદી-જુદી સમિતિઓની રચના થઈ હતી. જોકે નક્કર પરિણામ સુધી ગયા નહોતા.
આજે અમદાવાદના મીઠાખળી ખાતે સનાતન ધર્માવલંબીઓની બેઠક મળી હતી.
ડો. જ્યોતિનાથજી મહારાજ, અન્ય સંતો-મહંતો અને આગેવાનીમાં સલાહ-સૂચન મુજબ ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં જે તમામ પુરાવાઓ છે તેની સાથે ખુલાસાઓની માંગણી કરવામાં આવશે. જો નિયત સમયમાં ખુલાસાઓ નહીં મળે તો લોકશાહી અને ન્યાયિક ઢબે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.
સનાતન ધર્મની મૂળભૂત પરંપરા તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે: જ્યોતિર્નાથ મહારાજ
સનાતન ધર્મ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના આપણાં જ આપણને નડ્યા છે. પરધર્મીઓએ ક્યારેય આપણા ધર્મનું અપમાન કરવાની કોશિશ કરી નથી. આપણાં જ ધર્મના લોકો ધર્મ વિશે વાહિયાત વાતો કરી છે. સાળંગપુરનો વિવાદ હોય કે પછી અન્ય કોઈ વિવાદ હોય સનાતન ધર્મની મૂળભૂત પરંપરાઓને તોડવાની વાત છે. ત્રિદેવ અને દેવી-દેવતાઓને નુકસાન પહોંચાડવાની જ્યારે વાત છે, ત્યારે આ તમામની સામે કેવી રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવી હતી.