વાવડીમાં સરકારી જમીનમાં દબાણ કરનાર 40 આસામીઓને નોટિસ
- કરોડોની કિંમતની જમીન પર કબજો કરી વાડા, ભંગારના ડેલા, રેતી-કપચીના સટ્ટા કરી નાખ્યા: સ્વેચ્છાએ ખાલી ન કરે તો ડિમોલેશન
રાજકોટ શહેરને ઈન્ટરનેશનલ એરપોર્ટ એઈમ્સ અને સ્માર્ટ સિટી જેવી સુવિધા મળતાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીનો પર કબજો કરી બારોબાર વેચી નાખતાં હોય અથવા વેપાર ધંધા શરૂ કર્યા હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાન પર આવતાં સરકારી જમીન થયેલ દબાણ દૂર કરવા દરેક મામલતદારોને ખાસ સુચના આપવામાં આવી છે. જેમાં વાવડી ખાતે કરોડોની કિંમતની સરકારી જમીનમાં 40 જેટલા આસામીઓએ દબાણ કર્યા હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં નોટિસ ફટકારી સ્વૈચ્છાએ ખાલી કરવા હુકમ કરવામાં આવ્યો છે. જો દબાણકર્તાઓ સ્વૈચ્છાએ ખાલી ન કરે તો આગામી સપ્તાહમાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરની ભાગોળેના વિસ્તારોમાં કિંમતી સરકારી જમીનો પર ભુમાફીયાઓએ દબાણ કર્યાના અનેક કિસ્સાઓ જિલ્લા કલકેટરનાં ધ્યાન પર આવતાં તાલુકા મામલતદાર મકવાણા સહિતના સ્ટાફને સરકારી જમીન પર થયેલ દબાણનો સર્વે કરી દબાણો દૂર કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે તાલુકા મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સરકારી દબાણો ખાલી કરાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાવડી ખાતે આવેલ સર્વે નં.149ની કરોડોની કિંમતી જમીન પર દબાણકર્તાઓએ વાડા, ભંગારના ડેલા અને રેતી કપચીના સટ્ટા કરી વેપાર ધંધા કરતાં હોવાનું તાલુકા મામલતદારના ધ્યાન પર આવતાં નાયબ મામલતદાર કિરીટસિંહ ઝાલા, સર્કલ ઓફિસર કથિરીયા, નાયબ મામલતદાર રઘુભા વાઘેલા સહિતના સ્ટાફે સર્વે કરી 40 જેટલા આસામીઓને સ્વૈચ્છાએ સરકારી જમીન ખાલી કરવા આખરી નોટિસ ફટકારી છે.
આગામી તા.6 માર્ચ સુધીમાં દબાણકર્તાઓ સ્વૈચ્છાએ જમીન ખાલી ન કરે તો કલેકટર તંત્ર દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવી કરોડો કિંમતી જમીન ખુલ્લી કરાવવાની કામગીરી હાથ ધરશે.