10 જિલ્લામાં નવ સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનશે
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં બજેટમાં રૂા.6807 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂા.717 કરોડ, પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે રૂા.520 કરોડ, વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે રૂા.15 લાખની લોન 4%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂા.100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે રૂા.80 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની 1 લાખ 25 હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની 13,600 વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂા.84 કરોડની તથા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 2 લાખ 22 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે રૂા.20 કરોડની અને દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા રૂા.60 કરોડ તથા દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ રૂા.170 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા 10 જિલ્લાઓમાં 9 સમરસ ક્ધયા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે રૂા.83 કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના 13 હજાર કુમાર-ક્ધયા છાત્રોને લાભ થશે. ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે 70 હજારથી વધુ લાભાર્થીઓ માટે રૂા.831 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 6% વ્યાજ સબસીડી આપવા માટે રૂા.25 કરોડની તથા વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત 21500 લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં રૂા.50 હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે રૂા.400 કરોડની જોગવાઇ કરવામા આવી છે.