સરકારી મીટિંગ-સીટિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર
વહીવટી કાર્યક્ષમતા વધારવા ‘વર્ચ્યુઅલ -ફર્સ્ટ’ અને સમયબધ્ધ બેઠક નીતિ અમલમાં
જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ હાજરી ફરજિયાત, ગુરૂવાર અને શુક્રવારે જ વિભાગીય બેઠકો થશે
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે (GAD) હવે સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય-કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિર્દેશો અનુસાર, ગાંધીનગરની બહાર કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હાજરી આપવી ફરજિયાત રહેશે, અને કોઈપણ બેઠકનો સમયગાળો કડકપણે એક કલાકથી વધુ નહીં હોય. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો, સમયનો સદુપયોગ કરવાનો અને સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો છે.
સરકારમાં નીતિ ઘડતર, નિર્ણય લેવા, વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને જાહેર વહીવટ માટે બેઠકો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત કરવા માટે, તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા આયોગ (GARC) દ્વારા કરવામાં આવેલી ભલામણોને સરકારે ગંભીરતાથી લીધી છે. તેના અનુસંધાનમાં, રાજ્ય સરકારે બેઠકો યોજવા માટે નવી, સુધારેલી પ્રક્રિયાઓ અને નિયમો ઘડ્યા છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને ત્રણ સ્પષ્ટ તબક્કામાં વહેંચવામાં આવી છે: બેઠક પહેલાંની તૈયારીઓ, બેઠક દરમિયાનના નિયમો, અને બેઠક પછીની જવાબદારીઓ.
નવા સચિવાલયના કાર્યક્રમ મુજબ, સોમવાર સામાન્ય રીતે જાહેર જનતા માટે મુલાકાત માટે આરક્ષિત હોય છે, જ્યારે મંગળવાર જનપ્રતિનિધિઓ અને મુલાકાતીઓ માટે નિર્ધારિત હોય છે. રાજ્ય કેબિનેટની બેઠક બુધવારે નિયમિતપણે મળે છે, ત્યારે હવે ગુરુવાર અને શુક્રવાર ખાસ કરીને વિભાગીય બેઠકો માટે નિયત કરવામાં આવ્યા છે. જ્યારે પણ સચિવાલય ખાતે બેઠકો યોજાશે, ત્યારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવું દરેક અધિકારી માટે ફરજિયાત રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર ઓઢવાણીએ એક પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બેઠકનો સમયગાળો એક કલાકથી વધુ ન હોવો જોઈએ. વધુમાં, ગાંધીનગરમાં યોજાતી બેઠકો માટે, જિલ્લા કક્ષાના વહીવટી અધિકારીઓએ અનિવાર્ય સંજોગો સિવાય વર્ચ્યુઅલ રીતે જ ભાગ લેવો પડશે. આ સૂચનાઓનું પાલન સરકારના તમામ વિભાગો, તેમના વિભાગીય વડાઓ, તેમજ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ બોર્ડ, કોર્પોરેશનો અને સરકારી કંપનીઓ દ્વારા ચુસ્તપણે કરવાનું રહેશે.
આ નવી નીતિ ગુજરાતના વહીવટી તંત્રને માત્ર આધુનિક જ નહીં, પરંતુ વધુ જવાબદાર અને પરિણામલક્ષી બનાવવામાં મદદ કરશે તેવી પ્રબળ અપેક્ષા છે, જેનાથી નાગરિકોને પણ ઝડપી અને અસરકારક સરકારી સેવાઓનો લાભ મળી રહેશે. આ નિર્ણય ખરેખર ગુજરાતના વહીવટી સુધારણા ક્ષેત્રે એક માઇલસ્ટોન સાબિત થશે.