મનપાનું 20મીએ બોર્ડ: વિપક્ષનો પ્રથમ પ્રશ્ર્ન ફ્લાવર બેડ કૌભાંડ
પ્રશ્ર્નોત્તરીમાં આ વખતે વશરામભાઇ સાગઠિયાનો ચાન્સ (લગાડાયો) લાગી જતા એક કલાક ખરાખરી થવાના એંધાણ
ભાજપ અને કોંગ્રેસના કોર્પોેરેટરો દ્વારા 15 પ્રશ્ર્નો પૂછાયા, એજન્ડામાં 12 દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઇ
મહાનગરપાલિકાનુ જનરલ બોર્ડ આગામી તા.20ના રોજ મળનાર છે. કોર્પોેરેટરોની પ્રશ્ર્નોતરીમાં આ વખતે વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાનો પ્રથમ નંબર આવતા ફલાવર બેડ સહિતના મુદ્દે શાસક પક્ષ અને અધિકારીઓને જવાબ આપવામાં પરસેવો વળશે તેવુ લાગી રહ્યુ છે. ઘણા સમયથી પ્રશ્ર્નોતરીમાં વિપક્ષના સભ્યનો વારો આવતો ન હતો. પરંતુ આ વખતે ચાન્સ લગાડવામાં આવ્યો હોય કે કુદરતી રીતે વશરામભાઇને મોકો મળ્યો છે અને તેમના પ્રશ્ર્નોનો પણ મજબૂત હોવાથી જનરલ બોર્ડ ઘણા સમય બાદ ફરી વખત ગાજે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા 15 પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે. જયારે એજન્ડામાં 12 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.
મનપાના આગામી જનરલ બોર્ડમાં વિપક્ષી નેતાનો પ્રશ્ર્ન પ્રથમ પૂછવામાં આવનાર છે અને તેમનો પેટા પ્રશ્ર્ન પણ મજબૂત હોવાથી ખરેખર શહેરીજનોને આ વખતે જનરલ બોર્ડમાં મનપામાં થતી કામગીરી જાણવા મળશે. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા રાજકોટમાં આર્કિટેકશન પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે B.U.C.(કમ્પ્લીસન) સર્ટિફિકેટ અટકાવાયા હોય તેવા બિલ્ડીંગ પ્રોજેક્ટ ની કુલ સંખ્યા કેટલી છે જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઇજ અને વિસ્તાર તેમજ બિલ્ડીંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો? ફ્લાવર બેડ વાળા બિલ્ડીંગ રેગ્યુલરાઈઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તારીખ 18 10 25ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કામગીરી તારીખ 11 11 25 સુધી શા માટે શરૂૂ કરવામાં આવી નથી તેની સંપૂર્ણ વિગતો આપશો તદઉપરાંત આ કામગીરી ક્યારે શરૂૂ થશે અને તે માટે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં શુ વ્યવસ્થા નિર્માણ કરેલ છે તે પણ જણાવશો? અને જો નિર્માણ ન કરાય હોય તો શા માટે નિર્માણ કરાય નથી તેની સંપૂર્ણ વિગતો તથા રાજકોટની હદ માં નવા ગામો ભર્યા બાદ રાજકોટ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે? પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં રાજકોટની હદ ક્યાં સુધી આવે છે? તેની સંપૂર્ણ વિગતો માઇલ સ્ટોન સાથે જણાવશો.
જ્યાં હદ પુરી થાય છે ત્યાં હદ પુરી થવા અંગેના સાઈનબોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી? છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર કઈ કઈ એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવ્યા રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે? કેટલા ખોદ કામ મંજૂરી લઈને તેમજ રસ્તા રીપેરીંગની ડિપોઝિટ ચૂકવીને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવી લીધા તે રસ્તાથી મહાનગરપાલિકાની તિજોરીને કેટલો આર્થિક ખર્ચ થયો? જેની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે.
પ્રશ્ર્નોત્તરીની યાદી
સભ્યશ્રીનું નામ પ્રશ્ર્ન સંખ્યા
વશરામભાઈ સાગઠિયા 3
વિનુભાઈ સોરઠિયા 2
કાળુભાઇ ફુગસીયા 2
દુર્ગાબા જાડેજા 1
જયશ્રીબેન ચાવડા 1
સુરેશભાઇ વસોયા 2
પરેશભાઈ ડી પીપળીયા 2
ડો. રાજેશ્રી ડોડીયા 1
પ્રીતિબેન દોષી 1
આશાબેન ઉપાધ્યાય 1
વિનુભાઈ ઘવા 2
વર્ષાબેન પાંધી 1
મીનાબા જાડેજા 1
કોમલબેન ભારાઈ 2
મકબૂલભાઈ દાઉંદાણી 3
કુલ 25
શીતલપાર્ક વળતરની વિવાદાસ્પદ દરખાસ્ત અંતે બોર્ડમાં પહોંચી
મનપાના જનરલ બોર્ડમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં 12 દરખાસ્ત પૈકી શીતલપાર્ક રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી મિલકતો પૈકી એક ખાસ મિલકતને વળતર આપવામાં જૂથવાદ નડી ગયોની ચર્ચા જાગેલ અને લાંબા સમય પેન્ડિંગ રાખયા બાદ અંતે સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી હતી અને આ દરખાસ્તને જનરલ બોર્ડમાં મુકવામાં આવી છે. તેમજ ડે.કમિશનર તરીકે એચ.આર.પટેલની નિમણુક સિલેક્શન કમિટિએ ફાઇનલ કરતા મંજૂરી માટે દરખાસ્ત જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવી છે.