મુળુભાઈ કંડોળિયાએ પણ કોંગ્રેસનોે ‘હાથ’ છોડી ભાજપનું ‘કમળ’ પકડ્યું
જામનગર જિલ્લા કોંગ્રેસમાં મોટુ માથું ગણાતા જૂના જોગી મુળુભાઈ કંડોળિયાએ પણ અંતે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ પકડ્યું છે અને આ જે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વિધિવત ભાજપમાં પ્રવેશ કરીલેતા જામનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાની સાથે જ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસનું મોટુ માથુ ગણાતા મુળુભાઈ કંડોળિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે અર્જુન મોઢવાડિયા તથા અંબરીશ ડેર સાથે મુળુભાઈ કંડોળિયાએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વયારકા જિલ્લામાં આહીર સમાજમાં મુળુભાઈ કંડોળિયાનું મોભાદાર સ્થાન છે અને વર્ષોથી તેઓ કોંગ્રેસમાં સક્રિય હતાં અગાઉ બે વખત કોંગ્રેસની ટીકીટ ઉપર ધારાસભાની ચુંટણી પણ લડી ચુક્યા છે. જો કે, તેમનો પરાજય થયો હતો આ સિવાય તેઓ જિલ્લા પંચાયતમાં પણ તેઓ સભ્ય તરીકે ચુંટાયા હતાં.
છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા રાજકીય સમિકરણો અને કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓ પણ કોંગ્રેસ છોડીને જતા રહેતા મુળુભાઈ કંડોળિયાએ પણ કોંગ્રેસ છોડી ભાજપની વાટ પકડી હોવાનું મનાય છે.