કાલાવડના નિકાવામાં શ્રમિક સગીરને આંચકી ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત
ચોટીલા નજીક ભિક્ષુકે બીમારીની વધુ પડતી દવા પી પોતાની જાતે હાથમાં કાપા માર્યા
કાલાવડના નિકાવા ગામે કારખાનામાં કામ કરતાં સગીરનું આચકી ઉપડયા બાદ બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ દાહોદના વતની અને હાલ કાલાવડના નિકાવા ગામે કારખાનામાં કામ કરતાં શૈલેષ પ્રતાપભાઈ વાખલા નામનો 16 વર્ષનો સગીર સવારના અરસામાં કારખાનામાં હતો ત્યારે અચાનક પેટમાં દુ:ખાવો ઉપડયા બાદ આચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક સગીર બે ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલા નજીક રખડતું ભટકતું જીવન જીવતાં જયેશભાઈ વિનોદરાય ગોંડલીયા નામના 48 વર્ષના આધેડે કોઈ અગમ્ય કારણોસર બિમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધા બાદ પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી દીધા હતાં. આધેડને ઈજા પહોંચતાં અને તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.