ચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદ
બોરસદના રમણ સોલંકીને કેબિનેટ, પેટલાદ અને મહુધાના ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ
ગુજરાત સરકાર નવા મંત્રીમંડળમાં ચરોતરમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. આ ત્રણેય ધારાસભ્યોએ ગત વિધાનસભા ચૂંટણીમાં વર્ષોથી કોંગ્રેસની રહેલી બેઠકો આંચકી લીધી હતી. આણંદ જિલ્લામાંથી બે ધારાસભ્યો તથા ખેડા જિલ્લામાંથી એક ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને કેબિનેટ મિનિસ્ટર તરીકે અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા નો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને નાણાં તથા પોલીસ હાઉસિંગ જેલ સહિતના રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો દરજ્જો અપાયો છે. તેમજ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાને મહેસુલ તથા આપત્તિ વ્યવસ્થાપન અને પંચાયત તથા ગ્રામીણ વિકાસનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે હવાલો આપવામાં આવ્યો છે.
આઝાદી પછી પ્રથમ વાર બોરસદની વિધાનસભા કોંગ્રેસ પાસેથી છીનવી જાયન્ટ કિલર બનનાર રમણભાઈ સોલંકી ને કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે. તેમણે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને હરાવીને જીત મેળવી હતી. એ જ રીતે પેટલાદની બેઠક પણ લાંબા સમય બાદ ફરી એકવાર ભાજપના કમલેશ પટેલે વિજય મેળવ્યો હતો. મુદ્દાની બેઠક પણ જે કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી હતી તેમાં પણ સંજયસિંહ મહિડા એ ગાબડું પાડીને કોંગ્રેસના ઇન્દ્રજીત પરમારને હરાવ્યા હતા. ત્રણે બેઠક ઉપર પ્રથમવાર જીતેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ પણ વર્ષોથી ભાજપ અને આરએસએસમાં કામ કરતા હોઇ 2022 માં તેમને ટિકિટ આપવામાં આવી હતી અને તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ખેડા જિલ્લાના મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા ધારાસભ્યની મંત્રી પદે નિમણૂંક થી સમર્થકો, કાર્યકરો અને જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઈ છે.
બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમળા ગામના 46 વર્ષીય સંજયસિંહ મહીડા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા વિધાનસભા બેઠક પર 2022માં સંજયસિંહ મહિડાએ ભાજપનો ભગવો લહેરાવી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. તેમણે 25,000થી વધુ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.