ગોંડલ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા પરપ્રાંતીય શ્રમિકનું મોત
ગોંડલ રાજકોટ રેલ્વે ટ્રેક પર ગત રાત્રીનાં ટ્રેન હડફેટે ચડેલા શ્રમિક યુવાનનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. યુવાન પાણીપુરીની લારી ચલાવી જીવન નિર્વાહ કરતો હતો. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉતર પ્રદેશનાં અને હાલ ગોંડલનાં સડક પિપળીયા રહેતા સત્યમ નરેશભાઇ પ્રજાપતિ (ઉ.22) ગત રાત્રીનાં અરડોઈ ગામથી આગળ ગોળાઇ ઉપર આવેલા ગોંડલ રાજકોટ રેલ્વે ટ્રેક પસાર થઈ રહેલી ટ્રેનની હડફેટ ચડી જતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ સવારે કોટડા સાંગાણી પોલીસ જમાદાર પ્રવીણભાઈને થતા દોડી આવી યુવાનનાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તેના પરીવારને જાણ કરી હતી.
સત્યમ તેના બે મોટા ભાઇઓ સાથે છેલ્લા પાંચ વર્ષથી સડક પીપળીયા ગોપાલભાઈ ભરવાડની વાડીમાં ઓરડીમાં રહી તેના બે ભાઇઓ સાથે પાણીપુરીની લારીમાં મદદ કરતો હતો અને અપરણીત હતો. તેના ભાઈ જીતેન્દ્રભાઈ પ્રજાપતિનાં જણાવ્યાં મુજબ સત્યમ છેલ્લા કેટલાક દિવસોથી માનશીક બિમાર રહેતો હતો. કયારેક લારી પરથી કોઈ કારણ વગર ચાલ્યો જતો હતો. ગત સાંજે ઘરેથી નાસ્તો કરી નિકળી ગયા બાદ રાત્રીનાં પરત નહી ફરતા સવારે તેનાં મૃત્યુની જાણ થઈ હતી. બનાવ આત્મહત્યાનો કે અકસ્માતનો છે. તે અંગે કોટડા પોલીસ તપાસ ચલાવી રહી છે.