સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-3 માં પ્રવેશથી અનેક છાત્રો વંચિત: તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા શરૂ કરો
એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકવાની નવી શિક્ષણનીતિ અમલી બની હોવા છતાં યેનકેન પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતો હોવાની ફરિયાદ ઉઠી છે.
શહેરના ઢેબર રોડ પર રહેતા સાહિલ કિશનભાઇ ચાંગાણી નામના વિદ્યાર્થીએ સૌે.યુનિ.ના કુલપતિ ડો.કમલસિંહ ડોડિયાને લેખિત રજુઆત કરી પોતાને સહિતના છાત્રોને સેમેસ્ટર-3માં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવા માંગણી કરી છે.
સાહિલ ચાંગાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે તેમણે પૂનાની મીટ એડીટી યુનિ. બીબીએનો અભ્યાસ કર્યો છે. હવે, બીબીએ સેમેસ્ટર-3માં પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સં5ર્ક કરતા, અહીં નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ક્રેડિટ સ્કોર મેચ ન થતાં હોવાથી બીજી કોઇ યુનિ.ના છાત્રોને પ્રવેશ નહીં મળે તેવો જવાબ અપાયો છે.
સૌ.યુનિ.નાં આવા જવાબ સામે સાહિલે એવા પ્રશ્ર્નો ઉઠાવાયા છે કે, વર્ષ 2020થી એનઇપી અમલી બની છે. શહેરની ખાનગી-ખાનગી યુનિવર્સિટીઓ પણ નવી શિક્ષણનીતિ અંતર્ગત પ્રવેશ આપવા તૈયાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેમ નવી શિક્ષણનીતિ નથી લાગુ પડતી? સૌ.યુનિ. છાત્રો સાથે પ્રવેશ બાબતે કેમ ભેદભાવ રાખે છે?
2024-25ના સેમેસ્ટરમાં પ્રક્રિયા થોડા સમયમાં જ શરૂ થવાની હોવાથી આ અંગેનો તાકિદે પરિપત્ર બહાર પાડવા તેમજ સેમેસ્ટર-3માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે.