મોરબીમાં દિવાલ ધરાશાયી થતા અનેક ઈજાગ્રસ્ત, મોકડ્રિલ જાહેર
મોરબીમાં આજે યુધ્ધ અંગેની મોકડ્રિલ જાહેર સ્થળોએ યોજવામાં આવી રહી છે. જેમાં આજે નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનની વાયુસેનાએ એરસ્ટ્રાઈક ક2તા એક દીવાલ ધરાશાયી થઈ હોવાનું રિહર્સલ કરી ઘાયલોને કેમ સારવાર અપાવવી તે અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણા ઉપર એરસ્ટ્રાઈક કરી હોવાથી સંભવત: યુદ્ધની પરિસ્થિતિ ઉદભવી છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉથી જ આજે મોકડ્રિલ અને બ્લેક આઉટ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અન્વયે આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી.
જેમાં પાકિસ્તાનની વાયુ સેના દ્વારા બસ સ્ટેન્ડ ઉપર હુમલો કરવામાં આવતા એક દીવાલ ધરાશાયી થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.જો કે આ મોકડ્રિલમાં એક 108 સમયસર પહોંચી ગઈ હતી અને તુરંત જ ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતા. અન્ય 108 5થી 7 મિનિટમાં પોહચી હતી. આ મોકડ્રિલમાં ફાયર, 108, માર્ગ મકાન વિભાગ, મહાપાલિકા, આરટીઓ, ટ્રાફિક પોલીસ, એ ડિવિઝન પોલીસ સહિતના વિભાગો જોડાયા હતા.