રાજ્યના 123 તાલુકામાં મેઘાવી આફત, વંથલી, ચોટીલા પંથકમાં 4 ઇંચ ખાબકયો
મેંદરડા, જૂનાગઢ-2॥, મોરબી, કેશોદ, દ્વારકા, ભાવનગરમાં 2 ઇંચ વરસાદથી ભારે તારાજી
ચોમાસાએ વિદાયવેળાએ પણ અસલમીઝાજ બતાવવાનું ચાલુ રાખતા ગઇકાલે રાજ્યના 123 તાલુકામાં અડધા થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી, મેંદરડામાં 1॥ થી 4 ઇંચ તેમજ ચોટીલામાં 4 ઇંચ અને ભાવનગર, કાલાવડ અને મોરબી પંથકમાં 1 થી 1॥ ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતીના પાકને મોટી નુકસાની જવાનો ભય ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.
ગુજરાતના 123 તાલુકાઓમાં ગઇકાલે અડધા થી 4 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢના, વંથલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે 4 ઇંચ, મેંદરડા, જૂનાગઢ શહેર, મોરબી, કેશોદ, દ્વારકા 2 ઇંચ, કુકાવાવ, ગોંડલ, માળિયા હાટીના, જામજોધપુર, વિસાવદરમાં 1॥ ઇંચ અને રાણપુર, ચુડા, ભચાઉ, જોડિયા 1 ઇંચ અને ધોરાજી, લોધિકા પંથકમાં મોટા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો.
મોરબીમાં પણ મેઘરાજાનો મુકામ થયો છે. સતત પાંચમાં દિવસે વરસાદ પડયો છે. મોરબીમાં બપોરે એક ઇંચ જેટલો વરસાદ પડયા બાદ સાંજે પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે હળવદ, માળિયા, ટંકારા અને વાંકાનેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઈંચ ,સિહોર, ઘોઘા માં અડધો ઇંચ અને જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદના હરવા ભારે ઝાપટા પડ્યા છે. ગોહિલવાડ પંથકમાં દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના મહુવામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સિહોર અને ઘોઘામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને અન્ય તાલુકામાં દિવસભર હળવા ભારે ઝાપટા વરસી રહ્યા હતા. આજે સવારે 6 પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં 7, ઉમરાળામાં 7, ભાવનગર શહેરમાં 1, ઘોઘામાં 16, સિહોરમાં 12 ,ગારીયાધાર માં 1, પાલીતાણામાં 4, મહુવામાં 32 અને જેસરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલી મેઘ સવારી ગઈકાલે ગુરુવારે પણ હળવા ઝાપટા રૂૂપે સર્વત્ર વરસી હતી. તેમાં ગુરુવારે 24 કલાકમાં દિવસ દરમિયાન દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ (44 મી.મી.), ભાણવડમાં 6 મી.મી., કલ્યાણપુરમાં 19 અને ખંભાળિયામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસાદથી માર્ગો કીચડથી ખરડાયેલા બની રહ્યા હતા.
જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે સવારથી વાતાવરણ ખુલ્લું બની રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 36 ઈંચ (913 મી.મી.) થવા પામ્યો છે.કાલાવડના નવાગામમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સવારથી મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ હતી. અને અંદાજિત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ માહોલ જામ્યો હતો..વરસાદ અને પવન ફુંકાતા ખેડૂતોમાં ચિંતામાં જોવા મળી રહી છે.