આરોગ્ય-મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે, મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લાઓ હાઈ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં સરહદી જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના 18 જિલ્લાઓ અલર્ટ પર મુકવામાં આવે છે. દ્વારકા, સોમનાથ સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગઈકાલે ગૃહરાજ્યમંત્રીએ બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તો આજે સવારે સાડા દસ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી પણ બેઠક કરવાના છે. રાજ્યની તમામ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાત્રે કેટલાક શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું,જ્યાં હાલ સ્થિતિ સામાન્ય છે.
રાજ્ય સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ, સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નાગરિક તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલા તૈયારીના ભાગરૂૂપે કર્મચારીઓની ફુલ સ્ટ્રેન્થ રાખવાનો પ્રયાસ કર્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવની ગંભીર પરિસ્થિતિના પગલે રાજ્ય સરકારે ગૃહ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. તમામ જિલ્લા સ્તરે આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકાયો છે તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ રજાની મંજૂરી હવે નહીં મળે. રજા પર ગયેલા કર્મચારીઓને પણ તાત્કાલિક પોતાની ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગે પણ અધિકૃત રીતે તાકીદની સૂચના આપી છે કે તણાવના સંજોગોમાં તમામ મામલતદારો અને અન્ય સ્ટાફ હાજર રહે અને આપાતકાલીન કામગીરી માટે તૈયાર રહે. આ રજાઓ પર આપમેળે અમલ થશે અને જરૂૂરિયાત મુજબ કામગીરીમાં જોડાવાની તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ રાજ્યના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી તમામ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. તાત્કાલિક સારવાર માટે જરૂૂરી દવાઓ, સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.