આવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 26/03/2025ના રોજ EWS-2 કેટેગરીના 133 અને MIG કેટેગરીના 50 ખાલી પડેલ આવાસોનો જાહેર કોમ્પ્યુટરાઇઝ ડ્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ.
અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો જયારે આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. આથી ડ્રો માં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે ફોર્મ અરજી રિજેકટ ના થઈ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોને એક તક આપવામાં આવે છે. અપુરતા આધાર-પુરાવાઓની પુર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું તથા જરૂૂરી આધાર-પુરાવા સાથે તારીખ:23/05/2025 સાંજે 05.00 વાગ્યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકશે. ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા તમામ અરજદારો દિનાંક 09/05/2025 બપોરે 01.00 વાગ્યેથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટwww.rmc.gov.in પર પોતાની અરજીની સ્થિતિ જાણી શકશે અને જો કોઈ વાંધાસુચનો હોય તો આવાસ યોજના વહીવટી વિભાગમાં રૂૂબરૂૂમાં રજુઆત કરી શકશે. દિનાંક 23/05/2025 સાંજના 05.00 વાગ્યા બાદ કરવામાં આવેલ કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. ઉકત બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી તથા બંધનકર્તા રહેશે.
વધુમાં જણાવવાનું કે, ફોર્મની ચકાસણીમાં જે અરજીઓમાં તમામ આધાર-પુરાવાઓ મળી આવ્યા છે, એવા અરજદારોને દિનાંક 19/05/2025થી સિવિક સેન્ટર, સેન્ટ્ર્લ ઝોન ઓફીસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કર્યે અલોટમેન્ટ લેટર આપવાની કામગીરી કરવામાં આવશે. ડ્રોમાં વેઇટીંગ યાદીમાં આવેલ જે અરજદારો પોતાની ડિપોઝીટ પરત લેવા માંગતા હોય એમણે પોતાની પાત્રતા રદ કરવાની બાંહેધરી આપી www.rmc.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અગાઉ અરજી કરેલ હોય એવા અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.