પોલિટેકનીક કોલેજમાં પાણી, સુરક્ષા, ફાયર સેફટીનો અભાવ
જામનગર સ્થિત ગવર્નમેન્ટ પોલીટેકનિક કોલેજ અને તેની સંલગ્ન હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કોલેજના પ્રિન્સીપાલને લેખિત આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.
એબીવીપી દ્વારા કોલેજ પ્રશાસનને સુપરત કરાયેલા આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પડતી મુખ્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પાણીની ગંદકી એક મોટી સમસ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. હોસ્ટેલમાં વોર્ડન ન હોવાને કારણે પણ અનેક વહીવટી અને વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ સર્જાઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા (સિક્યોરિટી)નો પણ ગંભીર અભાવ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, કોલેજ કેમ્પસમાં મેસ (ભોજન વ્યવસ્થા) ન હોવાને કારણે પણ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.એબીવીપીએ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કોલેજ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ વીતી ગઈ છે, જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત જોખમી છે.
આગ જેવી આકસ્મિક ઘટના બને ત્યારે આ સાધનો બિનઉપયોગી સાબિત થઈ શકે છે.
આ તમામ ગંભીર સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજ પ્રશાસનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યા દ્વારા આપવામાં આવેલી યાદીમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જો આગામી 10 દિવસમાં વિદ્યાર્થીઓના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ પ્રશાસન સામે ઉગ્ર થી ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો શરૂૂ કરવામાં આવશે. આંદોલનથી ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિ કે અનિચ્છનીય ઘટનાની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેમ પણ ભારપૂર્વક જણાવાયું છે.