ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ ગુનેગારોની કુંડળી તૈયાર કરાશે
છેલ્લા 30 વર્ષમાં ગેરકાયદે હથિયાર, માદક પદાર્થો, જાલી નોટ, ટાડા, વિસ્ફોટક સહિતના ગુનામાં પકડાયેલા તમામનું 100 કલાકમાં વેરીફિકેશન કરવા રાજ્ય પોલીસ વડાનો આદેશ
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃતિમાં પકડાયેલા ગુનેગારોની કુંડળી તૈયાર કરવા રાજય પોલીસ વડા વિકાસ સહાયે આદેશ કર્યો છે. જેમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટક, માદક પદાર્થોની હેરાફેરી, નકલી ચલણી નોટ, ટાડા કે ગુજસીટોક હેઠળ પકડાયેલ તમામ આરોપીઓ હાલ શું પ્રવૃતિ કરે છે તેના સરનામાં સહીતની માહિતી તૈયાર કરવા અને તેનુ ચેકીંગ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ તાકીદ કરી છે.
જેમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓનું વેરીફીકેશન પ્રક્રિયા અને સંપૂર્ણ ચેકિંગ કરીને પૂર્ણ કરવાની રહેશે. આ કાર્યવાહી અંતર્ગત દરેક આરોપીની કુંડળી તૈયાર કરી અને સમગ્ર પ્રક્રિયા આગામી 100 કલાકની અંદર પૂર્ણ કરવાની ફરજિયાત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને જૂના ગંભીર ગુનાઓનું પુન:મૂલ્યાંકન કરવા માટે આ પગલું ખૂબ મહત્વનું ગણાય છે. પોલીસ વિભાગને અત્યાર સુધીના રેકોર્ડનો તથા આરોપીઓના સંપર્કોની પણ વિસ્તૃત તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સુરક્ષાની દૃષ્ટિએ આ અભિયાનને એક મોટા ક્લીનઅપ ડ્રાઈવ તરીકે જોવામાં આવી રહ્યું છે.
માર્ચ-2025માં ડીજીપી વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાને તેમના જિલ્લામાં ગુનાહિત કામ કરતા અસામાજિક તત્વોની યાદી 100 કલાકમાં તૈયાર કરીને આપવા સૂચના આપી હતી. જે તે સમયે ગુજરાત પોલીસે કુલ 7612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. તેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુના કરનારા લોકો, 958 મિલકત સંબંધી ગુનાહિત પ્રવૃતિ ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરીને આપી હતી.
આ ઉપરાંત 179 માઈનોર અને 545 અન્ય અસામાજિક પ્રવૃતિ કરતા શખ્સોની યાદી બનાવવામાં આવી હતી. અસમાજિક તત્વો સામે નજર રાખી ગેરકાયદેસર દબાણો, વીજ જોડાણ અને અનઅધિકૃત નાણાંકીય વ્યવહારની તપાસ કરવામાં આવી હતી. હવે દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલ ગુનેગારોની કુંડળી કાઢવા રાજયભરની પોલીસને આદેશ આપ્યો છે. રાજકોટ પોલીસ કમિશિનર બ્રજેશ ઝાની સુચનાથી એસઓજીના પીઆઇ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે રાજકોટ શહેરના આવા 1300 ગુનેગારોની કુંડળી કાઢી છે.
