કાશ્મીરના ટૂર પેકેજ રદ થવા લાગ્યા
ફરવા ગયેલા અનેક પ્રવાસીઓ હોટેલોમાં કેદ
વાહન-રેલમાર્ગે નીકળવામાં ભય, એરલાઈન્સ કંપનીઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી, 35 હજાર ભાડું આપવા છતાં બે-ત્રણ દિવસનું વેઈટિંગ
ભારતના સ્વિઝરલેન્ડ ગણાતા કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બપોરે આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર આડેધડ કરેલા ગોળીબારમાં ગુજરાતના 3 સહિત કુલ 28 પ્રવાસીઓ મોતને ભેટતા કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવનાર લોકો ફફડી ઉઠ્યા છે. અને હવે કાશ્મીરની બુક કરાવેલાટુરપેકેજ ધડાધડ રદ થવા લાગ્યા છે. લોકો કાશ્મીરના બદલે બીજા પર્યટન સ્થળોએ ફરવા જવાના પ્લાન બનાવવા લાગ્યા છે.
ટુર ઓપરેટરોનું કહેવું છે કે, હાલ ગુજરાતમાં ભારે ગરમી પડી રહી હોવાથી એપ્રિલ માસમાં કાશ્મીરના હિલસ્ટેશનો ઉપર જવા માટે જબરો ધસારો જોવા મળ્યો હતો. હાલ અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં ફરી રહ્યા છે. તે ટુર ટુંકાવીને પરત ગુજરાત આવવા લાગ્યા છે. જ્યારે જે લોકોએટુર બુક કરાવી છે અને હવે પછી કાશ્મીર જવાન છે. તેવા લોકોએ કાશ્મીર ટુર કેન્સલ કરવા માંડ્યા છે. અથવા તો નૈનિતાલ, મહાબળેશ્ર્વર, આસામના બુકિંગ માંગી રહ્યા છે. હાલ પ્રવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ ગભરાયેલ પ્રવાસીઓ વહેલી તકે કાશ્મીર છોડી ઘરભેગા તવા માંગતા હોવાથી એરલાઈન્સ કંપનીઓએ આવી સ્થિતિમાં પણ ઉઘાડી લુંટ શરૂ કરી હોય તેમ શ્રીનગરથી અમદાવાદ-મુંબઈ સહિતના શહેરોના વિમાની ભાડામાં અનેક ગણો વધારો ઝીંકી દીધો છે.
સામાન્ય દિવસોમાં અમદાવાદથી શ્રીનગરનું વિમાની ભાડુ 8-9 હજાર રૂપિયા હતુ તે ત્રાસવાદી હુમલા બાદ શ્રીનગરથી અમદાવાદ આવવાનું ભાડુ રૂા. 30થી 35 હજાર સુધી પહોંચી ગયું છે. આટલા ઉંચા ભાડા વસુલવા છતાં તમામ ફ્લાઈટો ફુલ જઈ રહી છે. અને શ્રીનગરથી અમદાવાદ માટેની ફ્લાઈટમાં ત્રણ-ત્રણ દિવસનું વેઈટીંગ બતાવે છે.
પ્રવાસીઓ હવે ટ્રેન કે વાહનમાર્ગે પરત ફરવાના બદલે વિમાનનો આગ્રહ રાખી રહ્યા છે. ત્રાસવાદી હુમલાના ફફડાટના કારણે પ્રવાસીઓ હોટેલોમાં જ ભરાઈને બેસી રહ્યા છે. અને વિમાનની ટિકિટ મળે કે તુરત જ ઘરભેગા થવા માંગે છે. હોટેલોમાં પણ પ્રવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરી સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.