જૂનાગઢના ધારાસભ્યના લેટર બોમ્બથી ભાજપની હાલત કફોડી
કોંગ્રેસના લલિત પરસાણાએ મનપાના શાસકો અને ધારાસભ્ય સામે પણ સવાલો ઉઠાવ્યા
ભાજપમાં નેતાઓના લેટરકાંડ ભારે વિવાદ જગાવી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં ભાજપના હોદ્દેદારોના લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ મનપાના કામોમાં થયેલ ગેરરીતિ અંગે જાણકારી આપવા લોકોને અપીલ કરી છે. ત્યારે બીજી તરફ આ પત્રથી નારાજ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પણ પત્ર લખ્યો છે.
જૂનાગઢ કોંગ્રેસ લલિત પરસાણાએ આ પત્ર બાદ શાસક પક્ષને ધારદાર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યએ જનતા જોગ પત્ર અંગે તેના પર જ સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જનતાજોગ પત્ર લખી રસ્તા અને ગટર મામલે ભ્રષ્ટાચાર થયો હોય તો જણાવવા અપીલ કરી હતી. જેને લઈ કોંગ્રેસ નેતા લલિત પરસાણાએ ધારાસભ્યની હોટલ પાસે થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો.
તેમણે કહ્યું કે, હાલમાં જ અહીં ગટરના કામો થયા બાદ થયેલ પેચવર્કમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. થોડા દિવસોમાં પેચવર્ક પણ તૂટવા લાગ્યું છે.
લલિત પરસાણાએ સણસણતો સવાલ કર્યો કે, ધારાસભ્ય લોકોને પત્ર લખે પણ ખુદની હોટલ પાસે હજારો વાર પસાર થતા હોય તો નહી દેખાતો હોય આ ભ્રષ્ટાચાર. બીજી તરફ આખું જૂનાગઢ ખાડાઓથી ભરેલું છે. લોકો ત્રસ્ત છે. મુખ્યમંત્રી ખુદ જૂનાગઢની આ સમસ્યા પર ટકોર કરી ચૂક્યા છે. છતાં શાસક પક્ષના નેતાઓનું પેટનું પાણી હલતું નથી. ક્યારેય રસ્તાઓ પર આવીને જુએ તો ખબર પડે ને. લલિત પરસાણાએ આજે શાસક પક્ષના નેતાઓ, ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધીના તમામને જનતા સામે ખુલ્લા પાડી સવાલોની છડી વરસાવી હતી.
આવા પત્રોથી ભાજપની છબી ખરડાય છે
સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ પત્રમાં લખ્યું કે, આવા પત્રોથી બીજેપીની છબી ખરડાતી હોય છે. આ પત્રથી કોંગ્રેસ અને આપ પાર્ટીને બીજેપી વિરુદ્ધ બોલવાનો મોકો મળ્યો છે. ધારાસભ્ય ખુદ 15 વર્ષથી મનપાના હોદ્દેદાર હોય બધું જ જાણે છે, છતાં આવા પત્ર લખી માહિતી માંગવાની શી જરૂૂર. આ પત્રથી બીજેપીની છબીને નુકસાન પહોંચ્યું છે. કારણ કે મનપામાં બીજેપીનું શાસન છે. આ સમયની માહિતી માંગી બીજેપી નેતાઓ પર વિપક્ષને બોલવાનો મુદ્દો મળ્યો છે.