અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી જતા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. બંને બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર દંપતી અમદાવાદના શાહીબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક સ્ક્રેપનો વ્યવસાય કરતા હતા. જેમના બે બાળકોમાં 8 વર્ષની બાળકી, જ્યારે એક 5 વર્ષનો બાળક છે.
અમદાવાદના શાહીબાગમાં રહેતો પરિવાર ગત મોડી રાતે એમજી હેકટર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો.બરોડથી એક્સપ્રેસ હાઈવે રોડ પર પતિ-પત્ની અને તેમના બે બાળકો ગાડીમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એમજી હેક્ટર ગાડી ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ટકરાઈ હતી. જેના કારણે ગાડીમાં બેઠેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઇજા થઈ હતી.
મળતી માહિતી અનુસાર, 10 ના સવારે 3:37 વાગ્યા પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફથી ફોરવ્હીલ ચાલક વિશાલ ગણપતલાલ જૈન (ઉ.વ.-36 રહે. મ.નં.4 મયુર ફલેટ, જૈન કોલોની, તેરાપન ભવન પાસે, શાહીબાગ, અમદાવાદ)એ પોતાની ફોરવ્હીલ GJ-01-WR-0789ને પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી હતી. પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેમની ગાડીની આગળ જતા આઇસર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. મૃતકની ફોરવ્હીલ આઇસરની પાછળ અંદર ઘૂસી જતા કારચાલક અને તેમની પત્ની ઉષાબેન (ઉ.વ.34)ના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર બંને પતિ-પત્નીના મોત નીપજ્યા હતા.