શાળાની વ્યવસ્થાપન સમિતિના 12માંથી 9 વાલીઓને સભ્ય બનાવવા ફરજિયાત
ગુજરાત સરકારે નવા શૈક્ષણિક સત્ર 2025-26ના પ્રારંભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિઓ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો અને વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
શાળા વ્યવસ્થાપન સમિતિઓ શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ફરજિયાત છે અને શાળાના સંચાલન, દેખરેખ અને વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. છેલ્લી SMCતની રચના 2023-24માં કરવામાં આવી હતી, અને RTE કાયદા મુજબ, દર બે વર્ષે તેનું પુનર્ગઠન કરવું અનિવાર્ય છે. આ પુનર્ગઠન 2025-26ના શૈક્ષણિક સત્રના પ્રથમ સપ્તાહ દરમિયાન પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
દરેક SMCમાં કુલ 12 સભ્યો હશે, જેમાં 75% (એટલે કે 9 સભ્યો) શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા અથવા વાલીઓ હશે. આમાં વંચિત અને નબળા વર્ગના બાળકોના માતા-પિતાને સમાન પ્રતિનિધિત્વ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બાકીના 25% સભ્યોમાં એક ચૂંટાયેલા સ્થાનિક સત્તામંડળના સભ્ય (ગ્રામ પંચાયત અથવા નગર શિક્ષણ સમિતિ), શાળામાંથી એક શિક્ષક, વાલી સભ્યો દ્વારા નિયુક્ત કરાયેલ એક સ્થાનિક શિક્ષણવિદ અને એક સ્થાનિક કડિયાનો સમાવેશ થશે. જો ગામમાં કોઈ કડિયા ઉપલબ્ધ ન હોય, તો નજીકના ગામમાંથી એકની નિમણૂક કરવામાં આવશે અને SMCના પ્રમુખ દ્વારા કડિયાની નિમણૂક કરાશે.SMCમાં વાલી સભ્યોમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવશે, જે સમિતિના સુચારુ સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવશે. શાળાના આચાર્ય, અથવા જો આચાર્ય ઉપલબ્ધ ન હોય તો સૌથી વરિષ્ઠ શિક્ષક, SMCના સચિવ તરીકે સેવા આપશે. આ પ્રક્રિયાથી શાળાઓના સ્થાનિક સ્તરે સંચાલનમાં વધુ લોકશાહી અને સમાવેશી અભિગમ અપનાવવામાં મદદ મળશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, દરેક CRC સંયોજકે SMC પુનર્ગઠનનું પ્રમાણપત્ર BRC (બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર) ને સુપરત કરવું આવશ્યક છે. BRC ત્યારબાદ એક સંકલિત અહેવાલ જિલ્લા પ્રોજેક્ટ સંયોજકને મોકલશે, અને અંતે આ અહેવાલ સમગ્ર શિક્ષાના કાર્યાલયને પહોંચાડવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે SMCતની રચના અને કાર્યક્ષમતાનું નિયમિતપણે નિરીક્ષણ થાય અને શિક્ષણ વિભાગ દ્વારા જરૂૂરી સહાય પૂરી પાડવામાં આવે.