ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. ત્યારે મહેસૂલ મંત્રીએ ત્રણ દિવસમાં પાક નુકસાનીનો અહેવાલ આપવા માટે આદેશ આપ્યો છે.
ખેડાના નડિયાદ ખાતેથી મેહસુલ મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં પાક નુકસાનીનો અહેવાલ સરકારને સુપરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. તેમણે ખેડા જિલ્લાની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. પાક ધિરાણ માફી અને સહાય માટે તેમજ આવનાર પાક અને પશુઓના ઘાસ ચારા માટે ખેડૂતોને શું સહાય કરાશે તે મામલે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને ખેતીવાડી અધિકારીઓને પાક નુકસાનીનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવા આદેશ કરાયો છે.મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં લખેલી એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.