વડિયામાં રેલવે, વીજળી, એસ.ટી.ની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી
સાંસદ, ધારાસભ્યના લોકદરબારમાં પ્રશ્ર્નોનો ધોધ વહ્યો : અધિકારીઓને તાકીદે નિવારણ કરવા સૂચના
ગુજરાતની સરકારને સંવેદનશીલ સરકારનુ બિરુદ આપવામાં આવે છે ત્યારે લોકો પ્રત્યેની સંવેદના બતાવવા વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ચૂંટાયેલા અમરેલી લોકસભા મત વિસ્તાર ના સાંસદ સભ્ય ભરત સુતરીયા અને અમરેલી વિધાનસભા ના ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્વારા વડિયા કુંકાવાવ વિસ્તાર ના લોકોના પ્રાણ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે લોક દરબાર રૂૂપી સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા સમગ્ર વડિયા કુંકાવાવ તાલુકા માંથી આ કાર્યક્રમ માં પોતાના વિસ્તાર અને ગામના પડતર પ્રશ્નો અને રજુવાતો લઇ લોકો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ પાર્ટીના હોદેદારો આવ્યા હતા અને પ્રશ્નોની અધિકારીઓ અને નેતાઓની હાજરી માં ધારદાર રજુવાતો કરી હતી.
ત્યારે નિયમ મુજબ થતા કાર્ય ને તાત્કાલિક સમય મર્યાદા આપી પૂર્ણ કરવા સૂચનાઓ આપાઈ હતી.સમગ્ર લોક દરબાર માં મોટાભાગે પીજીવીસીએલ, એસટી,રેલવે સહીત અનેક વિભાગો અને સ્થાનિક પ્રશ્નોની રજુવાતો થઇ હતી તેનું નિરાકરણ લાવવા જણાવાયું હતુ ત્યારે સરકાર આપના દ્વારે જેવી સિસ્ટમ દાખલ કરી નવતર પ્રયોગ કરનાર નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયા નોં આ સરાહનીય પ્રયાસ કહી શકાય. આ પ્રયાસ ને દર મહિનાની એક તારીખ ફિક્સ કરીને દર મહિને યોજવામાં આવે તો ચોક્કસ લોકોના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકાય તે વાત નક્કી છે. આ કાર્યક્રમ માં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેલવે, માર્ગ મકાન, ફોરેસ્ટ ,આરોગ્ય, એસટી, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સહીત અનેક રાજકીય આગેવાનો તાલુકા ભરના સરપંચો અને હોદેદારો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.