વેલનાથપરામાં સગીરાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો
લોહાનગરમાં શરીર કામ નહીં કરતું હોવાથી વૃદ્ધે કર્યો આપઘાત
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી દેવુંબેન માનસિંગભાઈ પાણેચા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર એંગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દેવુબેન પાણેચા એકના એક ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગર નજીક ડી.ડી. કોલોનીમાં રહેતા પ્રતાપરાય અમૃતલાલ મહેતા નામના 90 વર્ષના વૃદ્ધે શરીર કામ કરતું નહીં હોવાથી સુતરની દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું વૃદ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.